સુરતના લિંબાયતમાં હિંસક અથડામણ: પાર્કિંગના વિવાદમાં વકીલ પર જીવલેણ હુમલો, સમગ્ર પરિવારને ધમકી
સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ શાસ્ત્રી ચોક નજીક ગલી નંબર-2 માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મકાનની દીવાલ તોડવાની કામગીરી દરમિયાન શરૂ થયેલો સામાન્ય વિવાદ એટલી હદે વકરી ગયો કે પરિવારે જીવ બચાવવા દોડધામ કરવી પડી હતી. આ સમગ્ર મામલે પીડિત પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, લિંબાયતના શાસ્ત્રી ચોક વિસ્તારમાં રહેતા મોહમ્મદ અલ્તાફ યાકુબ ભરૂચીના ઘરની સામે વાહન પાર્કિંગ કરવા બાબતે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો હતો. રવિવારે જ્યારે તેમના મકાનની દીવાલ તોડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક આરોપીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને કામગીરીનો વિરોધ કરી મામલો ઉગ્ર બનાવ્યો હતો. પાર્કિંગને લઈને થયેલી સામાન્ય બોલાચાલીએ થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

પરિવાર પર જીવલેણ હુમલો
આ ઘટનામાં પીડિત મોહમ્મદ અલ્તાફ યાકુબ ભરૂચી, જેઓ વ્યવસાયે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલ છે, તેમના પર ઈમરાન ઇલિયાસ પટેલ અને અફઝલ ઇલિયાસ પટેલ સહિતના શખ્સોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ છે. હુમલાખોરોએ માત્ર વકીલને જ નહીં, પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યો સાથે પણ ગેરવર્તણૂક કરી મારામારી કરી હતી. આ હુમલા દરમિયાન ઘરની બહાર પાર્ક કરેલી ફોર-વ્હીલર કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું.
કેસ પાછો ખેંચવા માટે ધમકી
પીડિત પરિવારે પોલીસને આપેલી ફરિયાદમાં વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હુમલાખોરો દ્વારા તેમને અગાઉ ચાલી રહેલા કેસમાંથી પાછા હટી જવા માટે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ પ્રકારની ધમકીને કારણે વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. વકીલ જેવા જવાબદાર વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ પર આ પ્રકારનો હુમલો થતા સ્થાનિક વકીલ આલમમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
હિંસક અથડામણ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હુમલાખોરો દ્વારા કરવામાં આવેલી પથ્થરમારો અને મારપીટમાં પરિવારના અનેક સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

લિંબાયત પોલીસની તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે ઇમરાન ઇલિયાસ પટેલ, અફઝલ ઇલિયાસ પટેલ સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
લિંબાયત વિસ્તારમાં દિવસે-દિવસે વધી રહેલી આવી હિંસક ઘટનાઓને લઈ સ્થાનિક રહીશોમાં સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ હવે આ કેસમાં કેટલા અને કયા લોકોની ધરપકડ કરે છે તે જોવું રહ્યું.