કેન્સરથી બચવું હોય તો આજે જ છોડી દો આ કુટેવો, ૪૦% કેસ અટકાવવાનો આ રહ્યો એકમાત્ર રસ્તો!
આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી અને પર્યાવરણીય ફેરફારોને કારણે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેમાં ‘કેન્સર’ હાલમાં વિશ્વનો સૌથી મોટો અને ઝડપથી વધતો સ્વાસ્થ્ય પડકાર બની ગયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ તાજેતરમાં એક અત્યંત ચિંતાજનક ચેતવણી જાહેર કરી છે. WHO ના જણાવ્યા અનુસાર, દુનિયામાં દર પાંચમાંથી એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન કેન્સરનો શિકાર બનશે.
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) ના સહયોગથી બહાર પાડવામાં આવેલા ‘ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન કેન્સર ૨૦૨૬’ મુજબ, આ જીવલેણ બીમારીના કારણે દર વર્ષે વિશ્વભરમાં અંદાજે ૨ કરોડ ૬ લાખ (20.6 મિલિયન) નવા કેસો નોંધાય છે અને લગભગ ૧ કરોડ લોકો આ રોગ સામે જિંદગીની જંગ હારી જાય છે. હૃદય રોગ (કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ) પછી કેન્સર હવે દુનિયામાં મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ બની ગયું છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો આ દિશામાં તાત્કાલિક અને નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો વર્ષ ૨૦૫૦ સુધીમાં વાર્ષિક કેન્સરના કેસોની સંખ્યા વધીને ૩.૫ કરોડ સુધી પહોંચી શકે છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વની આરોગ્ય પ્રણાલીઓ પર અસહ્ય બોજ સમાન સાબિત થશે.

રિપોર્ટના ચોંકાવનારા ખુલાસા: દરરોજ ૨૬,૦૦૦થી વધુ મોત અને આરોગ્ય ક્ષેત્રે અસમાનતા
આ વૈશ્વિક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે કેન્સર માત્ર એક તબીબી સમસ્યા નથી, પરંતુ તે દર્દીઓ અને તેમના પરિવારો પર ભારે શારીરિક, ભાવનાત્મક અને આર્થિક આઘાત પહોંચાડે છે. આંકડાઓ અનુસાર, દુનિયામાં દરરોજ ૨૬,૦૦૦ થી વધુ લોકો કેન્સરના કારણે દમ તોડે છે. જો કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં કેન્સરની સારવાર, સ્ક્રિનિંગ અને નિવારણ ક્ષેત્રે ટેક્નોલોજી ઘણી આગળ વધી છે અને તેનાથી દર્દીઓનો જીવવાનો દર (Survival Rate) પણ સુધર્યો છે, પરંતુ દુર્ભાગ્યે હજુ પણ લાખો ગરીબ લોકો સમયસર નિદાન અને ગુણવત્તાયુક્ત સારવારથી વંચિત છે.
રિપોર્ટમાં સૌથી મોટી ચિંતા સારવારમાં જોવા મળતી વૈશ્વિક અસમાનતા વિશે વ્યક્ત કરવામાં આવી છે. એક ઉદાહરણ આપતા જણાવાયું છે કે, ઉચ્ચ આવક ધરાવતા અમીર દેશોમાં બ્રેસ્ટ કેન્સર (સ્તન કેન્સર) થી પીડાતી ૮૭ ટકા મહિલાઓ નિદાન પછી ઓછામાં ઓછું ૫ વર્ષ કે તેથી વધુ જીવી જાય છે, જ્યારે તેની સરખામણીમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા દેશોમાં આ દર માત્ર ૪૨ ટકા જ છે. આ ઉપરાંત, દુનિયાના ત્રીજા ભાગના દેશો પણ એવા નથી જે પોતાના નાગરિકોને સાર્વત્રિક આરોગ્ય વીમા (Universal Health Coverage) હેઠળ કેન્સરની સંપૂર્ણ સારવાર આપતા હોય. પરિણામે, સામાન્ય પરિવારોએ પોતાની જિંદગીભરની કમાણી સારવાર પાછળ ખર્ચી નાખવી પડે છે.
ભારત માટે આ રિપોર્ટના સંકેતો શું છે?
ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશ માટે આ અહેવાલ એક મોટો રેડ સિગ્નલ છે. ભારતમાં વસ્તીનો મોટો આંકડો, વધતી જતી સરેરાશ ઉંમર (Aging Population), તમાકુનું બેફામ સેવન, હવાનું પ્રદૂષણ, સ્થૂળતા (Obesity) અને પશ્ચિમી શૈલીનું ખાવાપીવાનું કેન્સરના કેસો વધારવા માટે મુખ્ય જવાબદાર પરિબળો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના અંદાજ મુજબ, આગામી વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ મોટો ઉછાળો જોવા મળી શકે છે.
હાલમાં ભારતમાં સૌથી વધુ જોવા મળતા કેન્સરમાં નીચેનાનો સમાવેશ થાય છે:
-
બ્રેસ્ટ કેન્સર (સ્તન કેન્સર): ભારતીય મહિલાઓમાં આ કેન્સર સૌથી ઝડપથી વધી રહ્યું છે અને તે પ્રથમ ક્રમે છે.
-
ઓરલ કેન્સર (મોંનું કેન્સર): ભારતમાં ગુટખા, માવા અને તમાકુ ચાવવાનું ચલણ ખૂબ વધારે હોવાથી પુરુષોમાં મોંનું કેન્સર મોખરે છે.
-
સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર): ગ્રામીણ અને જાગૃતિના અભાવવાળા વિસ્તારોમાં મહિલાઓ આનો ભોગ બને છે.
-
ફેફસાં અને કોલોરેક્ટલ કેન્સર: ધૂમ્રપાન અને પ્રદૂષણને કારણે ફેફસાંના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે જો ભારતમાં કેન્સરથી થતા મૃત્યુને અટકાવવા હોય, તો શરૂઆતના તબક્કામાં જ સ્ક્રિનિંગ (તપાસ) કરવું, કિશોરીઓમાં HPV વેક્સિનેશન (રસીકરણ) વધારવું, તમાકુ નિયંત્રણના કાયદા સખત કરવા અને લક્ષણો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી અનિવાર્ય છે.

રાહતની વાત: ૪૦ ટકા કેન્સરના કેસોને અટકાવી શકાય છે
WHO ના રિપોર્ટમાં એક આશાસ્પદ પાસું પણ સામે આવ્યું છે. અહેવાલ મુજબ, વિશ્વમાં દર ૧૦ માંથી લગભગ ૪ કેન્સરના કેસો એવા છે જેને આપણી જીવનશૈલીમાં સુધારો કરીને રોકી શકાય છે. કેન્સર થવા માટેના મુખ્ય જવાબદાર અને નિવારી શકાય તેવા પરિબળો આ મુજબ છે:
-
તમાકુ અને સિગારેટનું સેવન
-
દારૂ (આલ્કોહોલ) નું વધુ પડતું પ્રમાણ
-
શારીરિક બેઠાડું જીવન અને કસરતનો અભાવ
-
જંક ફૂડ અને અસમતોલ આહાર
-
વધતું જતું વજન અને સ્થૂળતા
-
ઝેરી હવાનું પ્રદૂષણ
-
હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) અને હેપેટાઇટિસ B અને C જેવા ચેપ
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જો લોકો તમાકુ અને દારૂનું સેવન સંપૂર્ણપણે બંધ કરે, રોજ અડધો કલાક કસરત કે યોગ કરે, લીલા શાકભાજી અને પૌષ્ટિક ખોરાક લે તેમજ સમયસર જરૂરી રસીઓ મેળવી લે, તો કેન્સરના જોખમને પ૦ ટકા સુધી ઘટાડી શકાય છે.
કેન્સર માત્ર શારીરિક બીમારી નથી, તે આર્થિક સુનામી છે
કેન્સર જેવી ગંભીર બીમારી માત્ર દર્દીના શરીરને જ નબળું નથી પાડતી, પરંતુ તે આખા પરિવારને આર્થિક અને માનસિક રીતે તોડી નાખે છે. WHO દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં બહાર આવ્યું છે કે કેન્સર પીડિતોમાંથી ૪૫ ટકા દર્દીઓ ભયંકર આર્થિક તંગીનો સામનો કરે છે. અડધાથી વધુ દર્દીઓ ડિપ્રેશન અને માનસિક તણાવમાં સરી પડે છે. આ ઉપરાંત, દર્દીની સારસંભાળ રાખનારા પરિવારના સભ્યો (Caregivers) પણ સતત ચિંતા, અનિદ્રા અને સામાજિક એકલતાનો ભોગ બને છે.
ભારતના સંદર્ભમાં આ સ્થિતિ વધુ ગંભીર છે, કારણ કે અહીં હજુ પણ મોટાભાગના લોકો પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ (આરોગ્ય વીમો) નથી અને તેમણે ઘરના પૈસા અથવા મિલકત વેચીને સારવાર કરાવવી પડે છે. કેન્સરનું એક નિદાન મધ્યમ વર્ગીય પરિવારને ગરીબી રેખા નીચે ધકેલી દેવા માટે પૂરતું છે. તેથી જ સસ્તી દવાઓ અને મજબૂત વીમા કવચની દેશને સખત જરૂર છે.