મયંક યાદવના ગતિશીલ પુનરાગમન પર સૌની નજર: અશોક શર્માની સ્પીડ ટેસ્ટ અને શ્રેયસની કેપ્ટનશીપ માટે મોટો પડકાર
ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ટીમ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે. ૨૩ જુલાઈથી શરૂ થઈ રહેલી આ શ્રેણીમાં ચાહકો અને નિષ્ણાતોની નજર ભારતના બે યુવા સ્પીડ સ્ટાર્સ – મયંક યાદવ અને અશોક શર્મા પર ટકેલી રહેશે. લગભગ બે વર્ષના લાંબા વિરામ બાદ ઈજાઓ પર વિજય મેળવીને રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી રહેલા મયંક યાદવના પ્રદર્શન પર બધાનું ધ્યાન હશે, જ્યારે બીજી તરફ પોતાની સણસણતી ઝડપથી IPL માં ધમાકો કરનાર અશોક શર્માને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાનો મોકો મળે છે કે નહીં તે પણ જોવાનું રસપ્રદ રહેશે.
મયંક યાદવ બે વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં કમબેક કરવા તૈયાર
મયંક યાદવે છેલ્લે ઓક્ટોબર ૨૦૨૪ માં ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારબાદ તે પીઠના ગંભીર સ્ટ્રેસ ફ્રેક્ચર અને અન્ય ઈજાઓનો શિકાર બન્યો હતો, જેના કારણે તેણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. ઈજાઓના કારણે તે આખી IPL ૨૦૨૫ સીઝન રમી શક્યો ન હતો. આ વર્ષે IPL ૨૦૨૬ માં તેણે વાપસી તો કરી હતી, પરંતુ તે માત્ર ચાર મેચ રમી શક્યો હતો જેમાં ૧૧.૩૭ ના ઈકોનોમી રેટ સાથે તેણે ૧ વિકેટ ઝડપી હતી.

હવે જ્યારે મયંક રાષ્ટ્રીય ટીમમાં પાછો ફર્યો છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું તે પોતાની જૂની આક્રમક ઝડપ (૧૫૦+ કિમી/કલાક) સાથે બોલિંગ કરી શકશે કે પછી ઈજાઓએ તેની ગતિ પર બ્રેક લગાવી દીધી છે. જો મયંક સંપૂર્ણ ફિટ હશે તો પ્લેઈંગ-૧૧ માં તેનું સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
અશોક શર્માની ૧૫૪ કિમી/કલાકની ગતિનો સામનો
મયંકના કમબેકની સાથે જ ૧૫૪ કિમી/કલાકની ચક્રવાતી ઝડપે બોલિંગ કરનાર યુવા ફાસ્ટ બોલર અશોક શર્મા પણ ભારે ચર્ચામાં છે. IPL ૨૦૨૬ માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમતી વખતે અશોકે પોતાની પ્રચંડ ગતિથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. તે સમગ્ર મેચ દરમિયાન સતત ૧૫૦ કિમી/કલાકથી વધુની ઝડપે બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
જોકે, IPL માં ગુજરાત ટાઈટન્સ દ્વારા તેને પૂરતી તકો આપવામાં આવી ન હતી, પરંતુ પસંદગીકારોએ તેની ક્ષમતા ઓળખીને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે તેની પસંદગી કરી છે. હવે ભારતીય ફેન્સ એ જોવા આતુર છે કે શું અશોક શર્માને ૨૩ જુલાઈએ રમાનારી પ્રથમ T20 મેચમાં કેપ મેળવીને ડેબ્યૂ કરવાની તક મળશે કે કેમ.

કેપ્ટન શ્રેયસ ઐયર સામે પ્લેઈંગ-૧૧ પસંદ કરવાનો પડકાર
ઝિમ્બાબ્વે સામેની આ શ્રેણી કેપ્ટન શ્રેયસ ઐયર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે અત્યાર સુધી રમેલી બંને શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભલે શ્રેયસ પોતે સારા બેટિંગ ફોર્મમાં હોય, પરંતુ કેપ્ટન તરીકે પોતાની પ્રથમ વિજયી શ્રેણી નોંધાવવા માટે તે આતુર હશે.