શું સાથે ખાવાથી હિપેટાઇટિસ ફેલાય? ડૉક્ટરે ખોલી ૫ ખતરનાક અફવાઓની પોલ!
હિપેટાઇટિસને અવારનવાર એક “સાયલન્ટ ડિસીઝ” (શાંત રોગ) તરીકે ઓળખવામાં આવે છે, અને તેની પાછળનું કારણ પણ એકદમ વ્યાજબી છે. સમગ્ર વિશ્વમાં કરોડો લોકો વાયરલ હિપેટાઇટિસ સાથે જીવી રહ્યા છે પરંતુ તેઓ પોતે આ વાતથી તદ્દન અજાણ છે. પરિણામે, આ વાયરસ વર્ષો સુધી શરીરમાં રહીને લીવરને ચૂપચાપ નુકસાન પહોંચાડતો રહે છે. નિદાન અને સારવારના ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ થઈ હોવા છતાં, સમાજમાં ફેલાયેલી ગેરમાન્યતાઓ અને અફવાઓને કારણે લોકો સમયસર તપાસ કરાવવાથી દૂર રહે છે.
વિશ્વ હિપેટાઇટિસ દિવસના અવસરે આરોગ્ય નિષ્ણાતો લોકોને અફવાઓથી દૂર રહીને સાચી માહિતી મેળવવા માટે ખાસ અપીલ કરી રહ્યા છે. બેંગલુરુની ફોર્ટિસ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના ડાયરેક્ટર અને હેડ ડો. રવિન્દ્ર બી. એસ. ના જણાવ્યા અનુસાર, હિપેટાઇટિસ વિશેની સત્યતા સમજવી એ સમયસર સારવાર મેળવવા અને લીવરને કાયમી નુકસાન થવાથી બચાવવા વચ્ચેનું મુખ્ય પરિબળ બની શકે છે.

ડો. રવિન્દ્રે જણાવ્યું કે, “સામાન્ય આરોગ્ય ક્ષેત્રે જાગરૂકતા વધી હોવા છતાં, હિપેટાઇટિસ વિશે કેટલીક ખોટી માન્યતાઓ આજે પણ સમાજમાં વ્યાપકપણે ફેલાયેલી છે. આ માન્યતાઓને લીધે લોકો પોતાના જોખમનું ખોટું આંકલન કરે છે અને તપાસ કરાવવાનું પાછળ ઠેલતા રહે છે.”
આવો, હિપેટાઇટિસ વિશેની આવી જ ૫ પ્રમુખ ગેરમાન્યતાઓ અને તેની પાછળનું સાચું વિજ્ઞાન સમજીએ.
ગેરમાન્યતા ૧: “જો મને હિપેટાઇટિસ હોત, તો મને લક્ષણોથી ખબર પડી જ ગઈ હોત”
સૌથી મોટી અને ખતરનાક ગેરમાન્યતા એ છે કે હિપેટાઇટિસ થાય એટલે પીળો પિશાબ, કમળો (Jaundice), ભારે થાક કે પેટમાં અસહ્ય દુખાવો જેવા લક્ષણો ચોક્કસ દેખાય જ.
પરંતુ વાસ્તવિકતા એ છે કે હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ C ના વાયરસ શરીરમાં કોઈ પણ લક્ષણ દર્શાવ્યા વગર વર્ષો કે દાયકાઓ સુધી શાંતિથી રહી શકે છે. આ “શાંત તબક્કા” દરમિયાન વાયરસ સતત લીવરને નુકસાન પહોંચાડે છે, જેનાથી આગળ જતાં સિરોસિસ (Cirrhosis), લીવર ફેલિયર અથવા લીવર કેન્સર થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. શરીરમાંથી લક્ષણો કે ચેતવણીના સંકેતો મળે તેની રાહ જોવી એ મૂર્ખામી છે; નિયમિત બ્લડ ટેસ્ટ (રક્ત પરીક્ષણ) એ જ આ ચેપને પ્રારંભિક તબક્કામાં પકડવાનો એકમાત્ર ચોક્કસ રસ્તો છે.
ગેરમાન્યતા ૨: “હિપેટાઇટિસ માત્ર અમુક ખાસ વર્ગના લોકોને જ થાય છે”
ઘણા લોકો એવું માને છે કે હિપેટાઇટિસ માત્ર નશાના ઇન્જેક્શન લેતા લોકો અથવા અસુરક્ષિત શારીરિક સંબંધ રાખતા લોકોને જ થઈ શકે છે. જોકે આ મુખ્ય જોખમી પરિબળો છે, પરંતુ માત્ર આટલા જ નથી. હિપેટાઇટિસ B અને C નીચે મુજબની સામાન્ય બાબતોથી પણ ફેલાઈ શકે છે:
-
અસુરક્ષિત અથવા સ્ટેરિલાઇઝ કર્યા વિનાના ટાટૂ કે પિઅર્સિંગ (કાન-નાક વિંધવાના) સાધનો.
-
બીજાનું રેઝર (બ્લેડ) કે ટૂથબ્રશ વાપરવાથી.
-
સ્ક્રીનિંગ અને નવી ટેકનોલોજી આવી તે પહેલાં લેવાયેલા લોહી દ્વારા.
-
ગર્ભાવસ્થા કે જન્મ સમયે ચેપગ્રસ્ત માતા દ્વારા બાળકમાં.
તેથી, કોઈપણ વ્યક્તિને આ ચેપ લાગવાનું જોખમ હોઈ શકે છે.
ગેરમાન્યતા ૩: “સામાન્ય સંપર્ક કે સાથે બેસવાથી હિપેટાઇટિસ ફેલાય છે”
બીજી એક સતત ચાલતી ગેરમાન્યતા એ છે કે ભેટી પડવાથી, હાથ મિલાવવાથી, સાથે ખોરાક ખાવાથી કે એક જ વાસણ વાપરવાથી હિપેટાઇટિસ ફેલાય છે.
ડો. રવિન્દ્ર સ્પષ્ટ કરે છે કે હિપેટાઇટિસ B અને C માટે આ વાત બિલકુલ ખોટી છે. આ વાયરસ માત્ર ચેપગ્રસ્ત રક્ત (Blood) અથવા ચોક્કસ શારીરિક પ્રવાહીના સીધા સંપર્કથી જ ફેલાય છે – રોજિંદા સામાજિક વ્યવહારોથી નહીં. દૂષિત માનસિકતા અને આ ખોટી માન્યતાને કારણે સમાજમાં એક પ્રકારનું કલંક (Stigma) ઊભું થાય છે, જેના કારણે લોકો ભેદભાવના ડરથી પોતાના લક્ષણો કે તપાસ વિશે ખુલીને વાત કરતા અચકાય છે.

ગેરમાન્યતા ૪: “હિપેટાઇટિસનું નિદાન એટલે મૃત્યુદંડ (Death Sentence)”
રોગના નિદાનનો ડર જ ઘણીવાર લોકોને ટેસ્ટ કરાવવાથી રોકે છે. પરંતુ છેલ્લા એક દાયકામાં તબીબી વિજ્ઞાને અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.
આજના આધુનિક સમયમાં આવી ગયેલી નવી એન્ટિવાયરલ દવાઓ દ્વારા હિપેટાઇટિસ C ને માત્ર કેટલાક મહિનાની સારવારથી સંપૂર્ણપણે મટાડી (Cure કરી) શકાય છે. ભલે હિપેટાઇટિસ B ને મુળમાંથી સંપૂર્ણ મટાડી શકાતો નથી, પરંતુ લાંબા ગાળાની સરળ સારવાર દ્વારા વાયરસને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખી શકાય છે, જેથી લીવરના નુકસાનને અટકાવીને દર્દી સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી શકે છે.
ગેરમાન્યતા ૫: “હિપેટાઇટિસના બધા પ્રકારો સરખા જ હોય છે”
બધા હિપેટાઇટિસ વાયરસ એકસરખો વ્યવહાર કરતા નથી.
હિપેટાઇટિસ A અને E મુખ્યત્વે દૂષિત ખોરાક કે પાણી દ્વારા ફેલાય છે અને યોગ્ય સંભાળથી ટૂંક સમયમાં જાતે જ મટી જાય છે; તે સામાન્ય રીતે ગંભીર કે ક્રોનિક રૂપ લેતા નથી. આનાથી વિપરીત, હિપેટાઇટિસ B અને C શરીરમાં વર્ષો સુધી લક્ષણો વિના રહીને લીવરને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તેથી દરેક પ્રકારની ગંભીરતા અલગ-અલગ હોય છે.
સમયસર તપાસ જીવન બચાવી શકે છે
આરોગ્ય નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે હિપેટાઇટિસ વિશેની દરેક ગેરમાન્યતામાં એક વાત સમાન છે – તે નિદાનમાં વિલંબ કરાવે છે. લક્ષણોની રાહ જોવી, ‘મને કશું નહીં થાય’ તેવી ધારણા રાખવી, અથવા સામાજિક ડર રાખવો આ રોગને શરીરમાં અંદરથી વધવાની તક આપે છે. જ્યારે લક્ષણો દેખાવાનું શરૂ થાય છે, ત્યારે ઘણીવાર લીવરને કાયમી નુકસાન થઈ ચૂક્યું હોય છે. તેથી, જાગૃત બનો અને નિયમિત તપાસ કરાવો.