શું તમારા લોહીમાં પણ છે આ ફેરફાર? ૬.૫ લાખ લોકો પર થયેલા રિસર્ચમાં ફેફસાંના કેન્સરને લઈને મોટો દાવો
વિશ્વ લંગ કેન્સર દિવસ નિમિત્તે, આરોગ્ય નિષ્ણાતોએ એક એવી નવી શોઘ પર પ્રકાશ પાડ્યો છે જે એ પ્રશ્નનો જવાબ આપી શકે છે કે શા માટે એક જ ઝેરી હવામાં શ્વાસ લેતા બે અલગ-અલગ વ્યક્તિઓમાં કેન્સરનું જોખમ સમાન નથી હોતું. પ્રદૂષિત હવા એ ફેફસાંના કેન્સર માટેના સૌથી મોટા પર્યાવરણીય કારણોમાંનું એક છે. પરંતુ તાજેતરના નવા સંશોધનો દર્શાવે છે કે વધતી ઉંમર સાથે જોડાયેલી લોહીની એક વિશેષ સ્થિતિ, જેને ‘ક્લોનલ હેમેટોપોઇએસિસ’ (Clonal Hematopoiesis) કહેવામાં આવે છે, તે કેટલાક લોકોને પ્રદૂષણ પ્રત્યે વધુ સંવેદનશીલ અને જોખમી બનાવી શકે છે.
જર્નલ ઓફ ધ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં પ્રકાશિત થયેલા ૨૦૨૬ ના એક વ્યાપક અભ્યાસમાં ૬,૫૦,૦૦૦ થી વધુ સહભાગીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં ‘ક્લોનલ હેમેટોપોઇએસિસ’ ને એક એવા જૈવિક પરિબળ તરીકે ઓળખવામાં આવ્યું છે જે પ્રદૂષણ સંબંધિત લંગ કેન્સરની શક્યતાઓને અનેકગણી વધારી દે છે. આ તારણો એક એવા ભવિષ્ય તરફ ઈશારો કરે છે જ્યાં કેન્સરનું નિવારણ માત્ર પર્યાવરણીય સંપર્ક પર આધારિત ન રહેતાં વ્યક્તિગત જૈવિક સ્થિતિ (Personalized Healthcare) મુજબ થશે.

શું છે આ ‘ક્લોનલ હેમેટોપોઇએસિસ’?
બીડીઆર ફાર્માસ્યુટિકલ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ટેકનિકલ ડિરેક્ટર ડૉ. અરવિંદ બડીગરના જણાવ્યા અનુસાર, ક્લોનલ હેમેટોપોઇએસિસ એ કોઈ રોગ નથી, પરંતુ વધતી ઉંમર સાથે થતી એક કુદરતી પ્રક્રિયા છે. આ સ્થિતિમાં આપણા શરીરમાં લોહી બનાવતા સ્ટેમ સેલ્સ (Stem cells) માં ધીમે ધીમે જેનિટિક મ્યુટેશન (જનીની ફેરફાર) વિકસે છે.
“આ મ્યુટેશનને લીધે ચોક્કસ પ્રકારના રક્તકોષો શરીરમાં કોઈ પણ લક્ષણો દર્શાવ્યા વગર વધવા અને ફેલાવા લાગે છે. છેલ્લા એક દાયકામાં થયેલા સંશોધનોમાં ક્લોનલ હેમેટોપોઇએસિસ, હૃદયરોગ (Cardiovascular Disease) અને શરીરમાં થતા ક્રોનિક સોજા (Chronic Inflammation) વચ્ચે ઘેરો સંબંધ જોવા મળ્યો છે.”
તાજેતરનું સંશોધન સૂચવે છે કે આ બદલાયેલા રોગપ્રતિકારક કોષો ફેફસાં વાયુ પ્રદૂષણ સામે કેવી પ્રતિક્રિયા આપે છે તેને પણ બદલી નાખે છે. હાનિકારક પ્રદૂષકો દ્વારા થતા નુકસાનને સુધારવાને બદલે, આ બદલાયેલી રોગપ્રતિકારક શક્તિ ફેફસાંમાં વધુ પડતો સોજો (Inflammation) ઉત્પન્ન કરે છે, જેનાથી કેન્સર થવા માટેનું સાનુકૂળ વાતાવરણ ઊભુ થાય છે.
વાયુ પ્રદૂષણ દરેક વ્યક્તિને એકસરખી અસર કેમ નથી કરતું?
વાયુ પ્રદૂષણ આપણા ફેફસાંને ઓક્સિડેટિવ સ્ટ્રેસ, સોજો અને ડીએનએ (DNA) ને નુકસાન પહોંચાડીને બગાડે છે. પરંતુ દરેક વ્યક્તિનું શરીર આ હાનિકારક અસરો સામે એકસરખો પ્રતિભાવ આપતું નથી. ડૉ. બડીગરનું કહેવું છે કે વ્યક્તિમાં લંગ કેન્સરનું જોખમ પર્યાવરણીય અને જૈવિક પરિબળોના મિશ્રણ પર આધારિત છે:
-
જૈવિક ઉંમર (Biological Ageing): ઉંમર વધવાની સાથે ક્લોનલ હેમેટોપોઇએસિસ થવાની શક્યતા વધે છે, જે શરીરની સોજા સામે લડવાની પ્રતિક્રિયાને ઓછી અસરકારક બનાવે છે.
-
આનુવંશિક રચના (Genetic Predisposition): વારસાગત જેનિટિક લક્ષણો એ નક્કી કરે છે કે ક્ષતિગ્રસ્ત DNA કેટલી કાર્યક્ષમતાથી રિપેર થઈ શકે છે.
-
એકંદર સ્વાસ્થ્ય: અગાઉથી રહેલા શ્વાસના રોગો, હૃદયની સમસ્યાઓ કે નબળી રોગપ્રતિકારક શક્તિ પ્રદૂષણથી થતા નુકસાનને વધારે છે.
-
જીવનશૈલી: ધૂમ્રપાન, ઝેરી રસાયણો વચ્ચે કામ કરવું, અસંતુલિત આહાર અને વ્યાયામનો અભાવ પણ કેન્સરનું જોખમ વધારે છે.
કેન્સર નિવારણના એક નવા યુગની શરૂઆત
આ નવા સંશોધનના તારણો દર્શાવે છે કે વાયુ પ્રદૂષણ ઘટાડવું એ ખૂબ જ જરૂરી છે, પણ કેન્સર અટકાવવા માટે માત્ર એટલું જ પૂરતું નથી. સંશોધકો માનવામાં આવે છે કે ભવિષ્યમાં જોખમનું મૂલ્યાંકન કરતી વખતે પ્રદૂષણના સંપર્કની સાથે ક્લોનલ હેમેટોપોઇએસિસ જેવા બાયોમાર્કર્સને જોડવામાં આવશે. આનાથી એવા લોકોને વહેલા ઓળખી શકાશે જેમને પ્રાથમિક તબક્કે જ તપાસ અને તબીબી દેખરેખની જરૂર છે.

જોકે, હાલના સમયે ક્લોનલ હેમેટોપોઇએસિસ માટે નિયમિત રૂટિન ટેસ્ટિંગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી, પરંતુ ચાલુ સંશોધનો ડોક્ટરોને કેન્સર થાય તે પહેલાં જ ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓને ઓળખવામાં મદદ કરશે. આ અભિગમ ‘પ્રિસિઝન મેડિસિન’ (Precision Medicine) ના ક્ષેત્રને વેગ આપશે.
ફેફસાંના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટેના સરળ ઉપાયો
વિજ્ઞાન જ્યારે આ અદ્રશ્ય જૈવિક પરિબળોની તપાસ કરી રહ્યું છે, ત્યારે નિષ્ણાતો ફેફસાંના કેન્સરનું જોખમ ઘટાડવા માટે નીચે મુજબના વ્યવહારુ પગલાં લેવાની સલાહ આપે છે:
-
દૂષિત હવાથી બચો: એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ચકાસતા રહો અને વધુ પ્રદૂષણવાળા દિવસોમાં માસ્ક કે રક્ષણાત્મક ઉપાયો અપનાવો.
-
ધૂમ્રપાનથી દૂર રહો: સિગારેટ, બીડી કે અન્ય કોઈ પણ પ્રકારના ધૂમ્રપાન અને પેસિવ સ્મોકિંગથી બચો.
-
ઘરનું વેન્ટિલેશન જાળવો: ઘરમાં હવાની અવરજવર સારી રહે તે સુનિશ્ચિત કરો જેથી અંદરનું વાયુ પ્રદૂષણ ઘટે.
-
લક્ષણો પ્રત્યે જાગરૂકતા: સતત આવતી ઉધરસ, શ્વાસ ચઢવો કે છાતીમાં દુખાવો જેવા લક્ષણોને અણગણ્યા કર્યા વગર તુરંત ડોક્ટરની સલાહ લો.
-
સ્વસ્થ જીવનશૈલી: નિયમિત કસરત અને બળતરા/સોજો ઘટાડે તેવો પૌષ્ટિક આહાર લેવાની ટેવ પાડો.