પાકિસ્તાનમાં મીડિયા પર મોટી કાર્યવાહી, ઈસ્લામાબાદ-કરાચી બહાર જવા માટે હવે NOC ફરજિયાત!
પાડોશી દેશ પાકિસ્તાનથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાન સરકારે દેશમાં કામ કરતા વિદેશી મીડિયા કર્મીઓ અને આંતરરાષ્ટ્રીય પત્રકારોની અવરજવર પર અત્યંત કડક નિયંત્રણો લાદી દીધા છે. નવા નિયમો અનુસાર હવે વિદેશી મીડિયા માટે કામ કરતા પત્રકારોએ ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવા મુખ્ય શહેરોની બહાર રિપોર્ટિંગ કરવા જતા પહેલા સરકાર પાસેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ એટલે કે NOC લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી માર્ગદર્શિકાએ મીડિયા જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ચાલો વિગતવાર જાણીએ કે પાકિસ્તાન સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા આ નવા અને કડક નિયમો પાછળનું મુખ્ય કારણ શું છે અને તેના દાયરામાં કયા-કયા લોકો આવશે.
પાકિસ્તાન સરકારના નવા મીડિયા નિયમો શું છે?
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા માર્ગદર્શક નિર્દેશો મુજબ, દેશમાં વિદેશી મીડિયા સંસ્થાઓના રજીસ્ટ્રેશન, તેમની માન્યતા અને મૂવમેન્ટ (અવરજવર) માટે એક અત્યંત જટિલ અને કડક માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
-
શહેરોની અંદર છૂટ, બહાર જવા પર પ્રતિબંધ: નવા નિયમો અનુસાર, જો કોઈ વિદેશી પત્રકાર ઈસ્લામાબાદ, લાહોર કે કરાચી શહેરની સીમામાં રહીને કામ કરી રહ્યો હોય તો તેને કોઈ પણ પ્રકારનું NOC લેવાની જરૂર નથી. પરંતુ જેવા તેઓ આ ત્રણ મુખ્ય મહાનગરોની સરહદ બહાર અન્ય કોઈ શહેરમાં રિપોર્ટિંગ માટે જવા માંગશે, તો તેમણે મંત્રાલય પાસેથી સત્તાવાર મંજૂરી લેવી પડશે.
-
એબટાબાદ અને મુરીની યાત્રાના નિયમો: જો કોઈ પત્રકાર એબટાબાદ કે મુરીની ખાનગી યાત્રાએ જવા ઈચ્છે છે, તો તેણે મંત્રાલયના ‘એક્સટર્નલ પબ્લિસિટી વિંગ’ (EP Wing) મારફતે NOC માટે અરજી કરવી પડશે. મંત્રાલયનો દાવો છે કે આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે ત્રણ કામકાજના દિવસોમાં મંજૂરી આપી દેવામાં આવે છે.
-
વિદેશી પત્રકારો માટે અરજી પ્રક્રિયા: જે વિદેશી પત્રકારો વિદેશમાં રહે છે અને પાકિસ્તાન સ્થિત મીડિયા સંસ્થાઓ માટે કામ કરવા ઈચ્છે છે અથવા રજીસ્ટ્રેશન મેળવવા ઈચ્છે છે, તેમણે EP વિંગના ઓનલાઈન પોર્ટલ પર પોતાની અરજી સબમિટ કરવાની રહેશે. આ ઉપરાંત, તેમણે પાકિસ્તાનના સંબંધિત મિશન, દૂતાવાસ કે હાઈકમિશનમાં તૈનાત સૌથી નજીકના પ્રેસ એટેચી મારફતે પણ પોતાનો કેસ આગળ વધારવો પડશે.
પ્રોડક્શન હાઉસ, ફ્રીલાન્સર્સ અને ફિક્સર્સ પર પણ કડક સિકંજો
આ નિયંત્રણો માત્ર મોટા આંતરરાષ્ટ્રીય ચેનલો કે મુખ્યધારાના પત્રકારો સુધી સીમિત નથી, પરંતુ તેનો દાયરો ઘણો મોટો કરવામાં આવ્યો છે.
-
કંપનીઓ અને સંસ્થાઓનું રજીસ્ટ્રેશન: પાકિસ્તાનમાં કામ કરતી તમામ કંપનીઓ, સંસ્થાઓ, પ્રોડક્શન હાઉસ અને અન્ય સંગઠનો માટે હવે એ ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે જો તેઓ વિદેશી મીડિયાને કોઈ પણ પ્રકારની મદદ કે સેવાઓ આપી રહ્યા હોય, તો તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયના પબ્લિસિટી વિંગ પાસે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
-
ગેર-પત્રકારો અને ફ્રીલાન્સર્સ પર પણ નિયમો લાગુ: રજીસ્ટ્રેશનની આ શરત એ સ્થાનિક લોકો પર પણ કડક રીતે લાગુ થાય છે જેઓ પોતે પત્રકાર નથી, પરંતુ પાકિસ્તાનમાં રહીને વિદેશી મીડિયા સંસ્થાઓને પોતાની સેવાઓ (જેમ કે ફિક્સર, કેમેરાપર્સન, અનુવાદક કે સ્ટ્રિંગર તરીકે) આપે છે.
-
ડિજિટલ અને સોશિયલ મીડિયા પણ દાયરામાં: આ નવા નિયમોના દાયરામાં પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ આઉટલેટ્સની સાથે તમામ વેબ-બેઝ્ડ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા સંગઠનોને પણ આવરી લેવામાં આવ્યા છે.
મંત્રાલયની ગાઈડલાઈન્સમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે EP વિંગ દ્વારા અગાઉથી માન્યતા પ્રાપ્ત કે રજિસ્ટર્ડ વિદેશી મીડિયાકર્મીઓને પણ જો ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી સિવાયના કોઈ અન્ય શહેરમાં પોતાના સત્તાવાર કામ માટે કોઈ ન્યૂઝ કન્ટેન્ટ, વિડીયો, ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી કે સોશિયલ મીડિયા સ્ટોરી તૈયાર કરવી હોય, તો તેમણે ફરજિયાતપણે NOC લેવું જ પડશે.
એક્રેડિટેશન (માન્યતા) ની બે નવી શ્રેણીઓ
રજીસ્ટ્રેશનની પૂરી પ્રક્રિયા થયા પછી, જે પત્રકારો પ્રેસ એક્રેડિટેશન કાર્ડ મેળવવા ઈચ્છે છે, તેમણે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મંત્રાલયે એક્રેડિટેશનની બે મુખ્ય શ્રેણીઓ બનાવી છે:
-
સ્થાયી એક્રેડિટેશન: આ કાર્ડ વાર્ષિક (એક વર્ષ માટે) ઈશ્યૂ કરવામાં આવે છે.
-
અસ્થાયી એક્રેડિટેશન: આ વિશેષરૂપે પાકિસ્તાન આવતા વિદેશી પત્રકારો માટે હોય છે, જે મહત્તમ ત્રણ મહિના માટે માન્ય રહે છે.
એકવાર EP વિંગ દ્વારા એક્રેડિટેશન કાર્ડ ઈશ્યૂ કરી દેવામાં આવે, તો તેનાથી પત્રકારોને સત્તાવાર મીડિયા ઈવેન્ટ્સ અને સરકારી પરિસરો સુધી પહોંચવામાં સરળતા રહે છે. જોકે, નિયમોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પત્રકારોએ માંગવામાં આવે ત્યારે તરત જ આ કાર્ડ બતાવવું પડશે. જો કોઈ પત્રકાર પોતાની સંસ્થા બદલે છે, એક્રેડિટેશનની કેટેગરીમાં ફેરફાર કરે છે, અથવા કાર્ડની મુદત પૂરી થઈ જાય છે, તો તેણે તરત જ એ કાર્ડ પરત કરવાનું રહેશે.
અચાનક શા માટે લેવાયા આટલા કડક પગલાં?
રાજકીય અને કૂટનીતિક નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન સરકારનું આ કડક પગલું અચાનક લેવામાં આવ્યું નથી. આ નિર્ણય મુખ્યત્વે પાકિસ્તાનના કબ્જા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK) માં સ્થાનિક ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થયેલા મોટા પાયે વિરોધ-પ્રદર્શનો, વહીવટી ગડબડો અને કથિત રીતે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા બળ પ્રયોગના અહેવાલો બાદ સામે આવ્યો છે.
પાકિસ્તાન સરકાર નથી ઈચ્છતી કે આ સંવેદનશીલ વિસ્તારોની વાસ્તવિકતા, ત્યાં થઈ રહેલા માનવધિકારોના ઉલ્લંઘન કે અસંતોષના સમાચાર સ્વતંત્ર રીતે આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દુનિયા સામે આવે. મીડિયાની પહોંચ પર આ પ્રકારનો કડક પહેરો એ વાત તરફ ઈશારો કરે છે કે દેશમાં પ્રેસની સ્વતંત્રતા અને મુક્ત પત્રકારત્વ પર ફરી એકવાર મોટું સંકટ મંડરાવા લાગ્યું છે.