સરકારી વકીલોની નિમણૂકના નિયમોમાં મોટો ફેરફાર: કેન્દ્ર સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા
કેન્દ્ર સરકારે દેશની વિવિધ અદાલતોમાં ભારત સરકારનો પક્ષ રજૂ કરવા માટે વકીલો (પેનલ કાઉન્સિલ) ની નિમણૂક અંગે નવી અને કડક માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ) જાહેર કરી છે. કેન્દ્રીય વિધિ બાબતોના વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, હવે સરકારી વકીલોની પસંદગી, લાયકાત અને તેમની કાર્યશૈલીમાં પારદર્શિતા લાવવા માટે નવી શરતો ઉમેરવામાં આવી છે. આ નવી નીતિ હેઠળ સરકારને એવો પણ વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે કે જો કોઈ વકીલનું કામકાજ સંતોષકારક ન જણાય અથવા તેઓ નિયમોનું ઉલ્લંઘન કરે, તો તેમને કોઈપણ સમયે અને પૂર્વ નોટિસ આપ્યા વિના પેનલમાંથી હટાવી શકાશે.
સુપ્રીમ કોર્ટ, તમામ હાઈકોર્ટ, જિલ્લા અદાલતો, નીચલી અદાલતો તેમજ વિવિધ ટ્રિબ્યુનલ અને અર્ધ-ન્યાયિક મંચો (Semi-Judicial Forums) માં સરકાર વતી કેસ લડનારા વકીલો માટે આ નિયમો તુરંત અસરથી લાગુ કરવામાં આવ્યા છે.
આવેદન માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને શરતો
કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ અનુસાર, પેનલ કાઉન્સિલમાં સામેલ થવા ઈચ્છતા વકીલો માટે કેટલીક મૂળભૂત પાત્રતા ધરાવવી અનિવાર્ય બનાવવામાં આવી છે:
ડિગ્રી અને રજીસ્ટ્રેશન: ઉમેદવાર પાસે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોલેજમાંથી કાયદાની બેચલર ડિગ્રી (LLB) હોવી જરૂરી છે. આ ઉપરાંત, વકીલ ‘એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧’ હેઠળ સંબંધિત સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધાયેલા હોવા જોઈએ.

AIBE ની પરીક્ષા: ઉમેદવાર પાસે કાનૂની પ્રેક્ટિસ કરવાનું માન્ય પ્રમાણપત્ર હોવું જોઈએ અને તેમણે ‘ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન’ (AIBE) સફળતાપૂર્વક પાસ કરેલી હોવી ફરજિયાત છે.
વિશેષ કાયદાઓનો અનુભવ: ઇનકમ ટેક્સ, કસ્ટમ્સ, જીએસટી (GST), પીએમએલએ (PMLA) જેવા વિશિષ્ટ અને જટિલ કાયદાઓમાં વિશેષ અનુભવ ધરાવતા અનુભવી વકીલોને અદાલતો અને ટ્રિબ્યુનલોમાં સરકારનો પક્ષ રજૂ કરવા માટે વિશેષ પેનલમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
ભૂતપૂર્વ સરકારી સેવાનો અનુભવ: જો કોઈ વકીલે પોતાની સરકારી સેવા દરમિયાન ઓછામાં ઓછા ૧૦ વર્ષ સુધી કાનૂની કામકાજનો ક્ષેત્રીય અનુભવ મેળવ્યો હોય, તો તેમની વિશેષજ્ઞતાના આધારે સીધા પેનલમાં સમાવેશ કરવા માટે વિચારણા કરી શકાશે.
અરજી કરવાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો
પેનલ કાઉન્સિલમાં જોડાવા માટે વકીલોએ નિર્ધારિત નમૂનામાં જ અરજી કરવાની રહેશે. અરજી પત્રક વિધિ બાબતોના વિભાગના ડેપ્યુટી સેક્રેટરીને સબમિટ કરવાનું રહેશે.
અરજી સાથે સ્વ-પ્રમાણિત (Self-Attested) શૈક્ષણિક પ્રમાણપત્રો, જો અગાઉ સરકારની કોઈ પેનલમાં કામ કર્યું હોય તો તેના આદેશોની નકલ, ફી માળખું અને શરતોનું પાલન કરવાનું વચનપત્ર જોડવાનું રહેશે. આ ઉપરાંત, ઉમેદવાર સામે કોઈ ફોજદારી ગુનો દાખલ થયેલો નથી અથવા કોઈ વ્યાવસાયિક ગેરવર્તણૂક (Professional Misconduct) બદલ શિક્ષા થઈ નથી તે અંગેનું સત્તાવાર સોગંદનામું આપવું અનિવાર્ય રહેશે.
૩ વર્ષની સમયસીમા અને વાર્ષિક કામગીરી સમીક્ષા
નવી માર્ગદર્શિકા મુજબ, પેનલમાં વકીલોની નિમણૂકનો સમયગાળો મહત્તમ ૩ વર્ષનો અથવા આગામી આદેશ ન થાય ત્યાં સુધી (જે પણ વહેલું હોય) નો રહેશે. આ સમયગાળા દરમિયાન દરેક સરકારી વકીલની કામગીરી અને કેસ જીતવાના દરની દર વર્ષે સમીક્ષા (Performance Review) કરવામાં આવશે.
જો કોઈ વકીલની કામગીરી નબળી જણાશે તો તેમને મુદત પૂરી થતા પહેલાં પણ પેનલમાંથી મુક્ત કરી શકાશે.
કયા સંજોગોમાં વકીલ અયોગ્ય (Disqualified) ઠરશે?
સરકારે અયોગ્યતાના નિયમો ખૂબ કડક બનાવ્યા છે:
૧. જો કોઈ વકીલ ‘એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧’ ની કલમ ૨૪-એ હેઠળ પ્રેક્ટિસ કરવા માટે પ્રતિબંધિત હશે, તો તેઓ આપોઆપ અયોગ્ય ઠરશે.
૨. બાર કાઉન્સિલ દ્વારા જો વકીલ પર કોઈ પણ પ્રકારનો વ્યાવસાયિક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય.
૩. ભૂતકાળમાં જો કોઈ વકીલે ભારત સરકારના હિતોને નુકસાન પહોંચાડે તે રીતે પોતાના પદ કે સ્થાનનો દુરુપયોગ કર્યો હોય, તો તેમને પણ કાયમ માટે આ પેનલ માટે અયોગ્ય ગણવામાં આવશે.

