કપિલ મિશ્રા અને ચિરાગ પાસવાનનું પીઠબળ? ભાજપ પર ગંભીર આરોપ સાથે સંસદ માર્ગે હંગામો!
દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર અચાનક રાજકીય અને સામાજિક ગરમાવો વધી ગયો છે. આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના વડા અને સાંસદ ચંદ્રશેખર આઝાદ અને કોકરોચ જનતા પાર્ટી (CJP)ના રાષ્ટ્રીય આગેવાનો સૌરવ દાસ તેમજ આશુતોષ રંકા પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પીડિત નિશુ આઝાદ અને તેમના પિતા સંજય કુમાર પર થયેલા હુમલાના વિરોધમાં આ તમામ નેતાઓએ દિલ્હી પોલીસનો ઘેરાવ કર્યો છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ છે કે સંજય કુમાર પર જીવલેણ હુમલો કરનાર આરોપી સ્વતંત્ર ભારદ્વાજની વિલંબ કર્યા વગર તુરંત ધરપકડ કરવામાં આવે અને તેના પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા એક પ્રદર્શન દરમિયાન અચાનક હિંસા ભડકી ઉઠી હતી. આ દરમિયાન નિશુ આઝાદના પિતા સંજય કુમારને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમના માથાના ભાગે કડા વડે ઘાતક વાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સંજય કુમારનું માથું ફાટી ગયું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરીને અનેક ટાંકા લેવા પડ્યા હતા. ઘટનાના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં દિલ્હી પોલીસે હજુ સુધી મુખ્ય આરોપી વિરુદ્ધ કોઈ નક્કર કાનૂની કાર્યવાહી કરી નથી, જેને લઈને કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભારે રોષ વ્યાપેલો છે.
#WATCH | Chandra Shekhar Aazad, President, Aazad Samaj Party – Kanshi Ram, also arrives at Parliament Street Police Station in New Delhi to support CJP leaders Saurav Das and Ashutosh Ranka, who are seeking justice for their leader Nishu Azad and her father Sanjay
Police and… pic.twitter.com/L8yJe5keAY
— ANI (@ANI) September 4, 2026
પોડકાસ્ટમાં કબૂલાત અને વિવાદિત દાવાઓ
આ સમગ્ર મામલાએ ત્યારે નવો અને ગંભીર મોડ લીધો જ્યારે સોશિયલ મીડિયા પર એક પોડકાસ્ટની વીડિયો ક્લિપ વાયરલ થઈ. આ વાયરલ ક્લિપમાં આરોપી સ્વતંત્ર ભારદ્વાજ પોતે સ્વીકારતો જોવા મળે છે કે તેણે જ સંજય કુમારના માથા પર વાર કર્યો હતો. સ્વતંત્ર ભારદ્વાજના જણાવ્યા મુજબ, પ્રદર્શન દરમિયાન સંજય કુમાર તેની નજીક આવીને કેમેરાથી વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા. આ બાબતે બંને વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી દરમિયાન ભારદ્વાજ નીચે પડી ગયો હતો. ત્યારબાદ ઉશ્કેરાઈને તેણે પોતાના હાથમાં પહેરેલા ભારે કડા વડે સંજય કુમારના માથા પર પ્રહાર કર્યો હતો, જેનાથી તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા.
આ પોડકાસ્ટ વાયરલ થયા બાદ પ્રદર્શનકારીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. તેમનું કહેવું છે કે જ્યારે આરોપી પોતે જાહેર માધ્યમ પર ગુનાની કબૂલાત કરી રહ્યો છે, ત્યારે દિલ્હી પોલીસ તેને પકડવામાં કેમ પીછેહઠ કરી રહી છે? વાયરલ ક્લિપમાં એવો પણ સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે હુમલો કર્યા પછી પણ આરોપી જેલ જવાથી બચી રહ્યો છે કારણ કે તેને ભાજપના નેતા કપિલ મિશ્રા અને ચિરાગ પાસવાન જેવા પ્રભાવશાળી રાજકારણીઓનું છૂપું સમર્થન અને આશ્રય મળેલું છે.
દિલ્હી પોલીસ પર આકરા પ્રહારો અને ગંભીર આરોપો
સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર માધ્યમો સાથે વાતચીત કરતી વખતે CJPના પ્રવક્તા આશુતોષ રંકાએ દિલ્હી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ભારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, દેશની રાજધાનીમાં દિવસદહાડે શાંતિપ્રિય નાગરિકો પર ગુજારાતા અત્યાચારો સામે પોલીસ આંખ આડા કાન કરી રહી છે. તેમણે જણાવ્યું કે, જંતર-મંતર જેવા અતિ સુરક્ષિત વિસ્તારમાં અમારા સાથી નિશુના પિતા સંજયજીનું માથું ફોડી નાખવામાં આવ્યું. આ ઘટના કોઈ અંધારામાં નથી થઈ, પરંતુ ખુલ્લામાં સૌની સામે થઈ છે.
આશુતોષ રંકાએ વધુમાં ઉમેર્યું કે, સૌરવ દાસ અને અમારી આખી ટીમ પ્રથમ દિવસથી જ દિલ્હી પોલીસ પાસે માંગ કરી રહી છે કે આ અસામાજિક તત્વો અને ગુંડાઓની તુરંત ધરપકડ કરવામાં આવે અને તેમના પર ‘અટેમ્પ્ટ ટુ મર્ડર’ (હત્યાનો પ્રયાસ) જેવી કડક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવે. પરંતુ દિલ્હી પોલીસ જાણે ઘોરીને પી ગઈ હોય તેમ કોઈ પગલાં ભરી રહી નથી. આજે દેશની રાજધાનીમાં એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે ગુનેગારો ખુલ્લેઆમ વીડિયો બનાવીને પોતાના ગુનાની કબૂલાત કરી રહ્યા છે અને કાયદાને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે.
તેમણે આરોપ લગાવ્યો કે કપિલ મિશ્રા અને ભાજપના કેટલાક નેતાઓની શેહ અને રાજકીય દબાણને કારણે દિલ્હી પોલીસ આ ગુનેગાર વિરુદ્ધ કશું જ કરી શકતી નથી. દેશ માટે આનાથી વધુ શરમનાક દિવસ બીજો કયો હોઈ શકે કે જ્યાં જીવલેણ હુમલો કરનાર વ્યક્તિ ખુલ્લામાં ફરી રહ્યો છે અને પીડિત પરિવાર ઇન્સાફ માટે દર-દર ભટકી રહ્યો છે. CJP અને આઝાદ સમાજ પાર્ટી શરૂઆતથી જ નિશુ આઝાદ અને સંજયજીની સાથે મજબૂતીથી ઊભી છે અને જ્યાં સુધી દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.
VIDEO | Delhi: CJP co-convenor Ashutosh Ranka says, “During our protest at Jantar Mantar, one of the supporter’s father, Sanjay Ji, was assaulted and he suffered head injuries. Saurav and our entire team repeatedly demanded that Delhi Police arrest the accused and register an… pic.twitter.com/uy9rYSQCBg
— Press Trust of India (@PTI_News) September 4, 2026
ન્યાયની માંગ સાથે આરપારની લડાઈનું આહ્વાન
આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે પણ પોલીસ પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં આરોપી સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ કરવામાં નહીં આવે તો આ આંદોલન માત્ર સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આખા દિલ્હી અને દેશભરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. તેમણે કહ્યું કે દલિતો, શોષિતો અને પીડિતો પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવો એ તેમનો બંધારણીય અધિકાર છે અને રાજકીય દબાણ હેઠળ દિલ્હી પોલીસ જે રીતે પક્ષપાતી વલણ અપનાવી રહી છે તે લોકશાહી માટે ઘાતક છે.
સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમર્થકો એકઠા થયા હતા, જેઓ પોલીસ પ્રશાસન અને સત્તાધારી પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓની સ્પષ્ટ માગણી છે કે:
આરોપી સ્વતંત્ર ભારદ્વાજની વિલંબ વગર તુરંત ધરપકડ કરવામાં આવે.
પોડકાસ્ટમાં કડા વડે વાર કર્યાની સ્વયં કબૂલાતને આધારે ભારતીય ન્યાય સંહિતાની હત્યાના પ્રયાસ (Attempt to Murder) સંબંધિત કડક કલમો ઉમેરવામાં આવે.
આ મામલામાં સંડોવાયેલા અને આરોપીને આશ્રય આપનારા તમામ પ્રભાવશાળી લોકોની પણ નિષ્પક્ષ તપાસ થાય.
આ ઘટનાએ હાલમાં દિલ્હીના રાજકીય માહોલમાં ભારે ગરમાવો લાવી દીધો છે. એક તરફ વિપક્ષી નેતાઓ અને સામાજિક સંગઠનો રોડ પર ઉતરીને ન્યાયની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ દિલ્હી પોલીસ પર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું ભારે દબાણ ઊભું થયું છે. હવે જોવાનું એ રહેશે કે દિલ્હી પોલીસ આ વાયરલ પુરાવાઓ અને વિરોધ પ્રદર્શન બાદ આરોપી વિરુદ્ધ શું પગલાં ભરે છે.
