૧.૨ અબજ લોકો બેઘર થશે? સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અહેવાલમાં સમુદ્રની વધતી સપાટી અંગે ભયાનક ચેતવણી!
સમુદ્રની સતત વધી રહેલી સપાટી હવે માત્ર આર્થિક કે ભૌતિક માળખાકીય સુવિધાઓ પૂરતી સીમિત નથી રહી, પરંતુ તે માનવ અધિકારો, સાંસ્કૃતિક વારસો અને સમગ્ર સમુદાયોની ઓળખ માટે ગંભીર જોખમ બની ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક નવા વિશેષ અહેવાલમાં આ અંગે લાલબત્તી ધરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના આ ખાસ અહેવાલને ‘દરિયાઈ સપાટીમાં વધારા સંબંધિત પડકારો અને તેના ઉકેલના માર્ગો’ શીર્ષક હેઠળ પલાઉ ખાતે યોજાયેલી ૫૫મી પેસિફિક આઇલેન્ડ્સ ફોરમ લીડર્સ મીટિંગ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલો વધારો, હિમનદીઓ (ગ્લેશિયર્સ) અને બરફના થરો પીગળવાને કારણે સમુદ્રનું સ્તર અભૂતપૂર્વ ઝડપે વધી રહ્યું છે. ૨૦૨૪માં વૈશ્વિક દરિયાઈ સપાટીમાં વાર્ષિક ૫.૯ મિલીમીટરનો રેકોર્ડબ્રેક વધારો નોંધાયો હતો, જે ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. આજે વિશ્વની આશરે ૧૦ ટકા વસ્તી, એટલે કે લગભગ ૭૭ કરોડ લોકો એવા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહે છે જે ભરતીની રેખાથી પાંચ મીટર કરતાં પણ ઓછી ઊંચાઈ પર છે અને તેઓ સીધા જોખમ હેઠળ જીવી રહ્યા છે.

આર્થિક નુકસાનથી લઈને માનવ વિસ્થાપન સુધીના ભિન્ન પડકારો
દરિયાની વધતી સપાટી શહેરી માળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠા પ્રણાલી, વાહનવ્યવહારના નેટવર્ક, ઊર્જા ગ્રીડ, મકાનો અને ભૂગર્ભ જળ સ્ત્રોતોને ભારે નુકસાન પહોંચાડી રહી છે. જોકે, વિશ્વના જુદા જુદા ભાગોમાં તેની અસર અલગ-અલગ સ્વરૂપે જોવા મળી રહી છે.
અમેરિકાના મિયામી અને ન્યૂ યોર્ક અથવા ચીનના ગુઆંગઝૂ જેવા ઉચ્ચ આવક ધરાવતા સમૃદ્ધ શહેરોમાં મુખ્ય જોખમ દરિયાકાંઠાના આર્થિક માળખાને છે, જ્યાં ૨ ટ્રિલિયનથી ૩.૫ ટ્રિલિયન ડોલર સુધીની અસ્કયામતો (એસેટ્સ) દાવ પર લાગેલી છે. બીજી તરફ, દક્ષિણ એશિયાના નીચાણવાળા ડેલ્ટા વિસ્તારોમાં આ સંકટ માનવ વિસ્થાપનનું ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. કોલકાતા, મુંબઈ અને ઢાકા જેવા મહાનગરોમાં ૧.૪ કરોડથી વધુ લોકો દરિયાઈ પાણીના કાયમી કબ્જાને કારણે પોતાના ઘર ગુમાવવાના આરે પહોંચી ગયા છે.
માનવ અધિકારો પર સીધો પ્રહાર
સમુદ્રનું પાણી આગળ વધવાને કારણે માનવીના મૂળભૂત અધિકારો જેવા કે યોગ્ય રહેઠાણ, પીવાનું સ્વચ્છ પાણી, સ્વચ્છતા, ખોરાક, આરોગ્ય સંભાળ અને શિક્ષણ મેળવવાના અધિકારો જોખમાઈ રહ્યા છે. વારંવાર આવતા પૂર અને દરિયાઈ ધોવાણ શાળા, હોસ્પિટલ અને ખેતીલાયક જમીનનો નાશ કરે છે. આ સિવાય ખારા પાણીનું અતિક્રમણ મીઠા પાણીના સ્ત્રોતો અને જમીનને બગાડે છે. ગટર અને સ્વચ્છતા પ્રણાલી તૂટી પડવાથી જળજન્ય રોગો ફેલાવાનો ભય પણ વધી જાય છે.
નાના ટાપુ રાજ્યો (SIDS), આદિવાસી પ્રજાતિઓ અને નીચાણવાળા દરિયાકાંઠાના સમુદાયો સૌથી વધુ નુકસાન ભોગવી રહ્યા છે. આદિવાસી સમુદાયો માટે પૂર્વજોની જમીન ગુમાવવી એ માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ તેમની સાંસ્કૃતિક ઓળખ, આધ્યાત્મિક જોડાણ અને પેઢી દર પેઢી ચાલી આવતા પરંપરાગત જ્ઞાનનો અંત છે. આથી, વિસ્થાપનની આ સમસ્યા માત્ર આર્થિક મુદ્દો ન રહેતાં એક ગંભીર માનવ અધિકાર ચ પડકાર બની ગઈ છે.
કાનૂની ગૂંચવણો અને આર્થિક બોજ
આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો, દરિયાકાંઠાના માળખાકીય માળખાને થયેલું નુકસાન હાલમાં ૧.૮ ટ્રિલિયન ડોલરથી વધુ અંકાયું છે. જો યોગ્ય અનુકૂલન (અડાપ્ટેશન) પગલાં લેવામાં નહીં આવે તો સદીના અંત સુધીમાં વાર્ષિક વૈશ્વિક નુકસાન ૧.૨ ટ્રિલિયનથી ૪ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.
આ ઉપરાંત, વધતા સમુદ્રો રાષ્ટ્રીયતા, સાર્વભૌમત્વ અને દરિયાઈ સરહદો અંગે જટિલ કાનૂની પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. જે ટાપુ દેશો સંપૂર્ણપણે જળમગ્ન થઈ જવાના ભય હેઠળ છે, તેમની સામે પોતાના દેશના અસ્તિત્વ અને નાગરિકોની સાર્વભૌમત્વ જાળવી રાખવાનો મોટો કાનૂની યક્ષપ્રશ્ન ઊભો થયો છે.

અગમચેતી અને ઉકેલનો માર્ગ
યુએન નિષ્ણાતોનું ચેતવણીભર્યું આકલન છે કે જો ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો ૨૦૫૦ સુધીમાં ૧.૨ અબજ લોકો વિસ્થાપિત થઈ શકે છે. આ સંકટને પહોંચી વળવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ (એર્લી વોર્નિંગ સિસ્ટમ્સ), મજબૂત માળખાકીય સુવિધાઓ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકન અત્યંત જરૂરી છે.
પરંતુ, વિકાસશીલ દેશો માટે સૌથી મોટો અવરોધ નાણાકીય ભંડોળનો છે. વિકાસશીલ દેશોને ક્લાયમેટ અનુકૂલન માટે વાર્ષિક ૩૧૦ થી ૩૬૫ અબજ ડોલરની જરૂરિયાત છે, જેની સામે ૨૦૨૩માં માત્ર ૨૬ અબજ ડોલરનું જ ફંડ મળ્યું હતું. આ નાણાકીય તફાવત પૂરવો ખૂબ જરૂરી છે.
માનવતાને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઝડપી ઘટાડો અને ટેકનોલોજીનું હસ્તાંતરણ અનિવાર્ય છે. માનવ-અધિકાર-આધારિત અભિગમ અપનાવીને જ આપણે એ સુનિશ્ચિત કરી શકીએ કે સમુદ્રના વધતા મોજાં કોઈનું ઘર, રોજીરોટી, સંસ્કૃતિ કે મૂળભૂત માનવ અધિકારો છીનવી ન લે. કાનૂની માળખાઓએ પણ ભવિષ્યની પેઢીઓની ગરિમા અને સ્થિરતા સુરક્ષિત રાખવા માટે અત્યારથી જ સજ્જ થવું પડશે.
