દરિયાકાંઠાના વિકાસથી ગુજરાત બની રહ્યું છે મત્સ્ય ઉદ્યોગનું શક્તિશાળી કેન્દ્ર
વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસના અવસર પર ગુજરાતની મત્સ્ય ક્ષેત્રે પ્રાપ્ત સિદ્ધિઓ ફરી એકવાર રોશન થઈ છે. દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય તરીકે ગુજરાત આજે માત્ર ભૌગોલિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આર્થિક અને ઔદ્યોગિક સમૃદ્ધિનું શક્તિશાળી કેન્દ્ર બની રહ્યું છે. રાજ્યમાં દર વર્ષે વધતું મત્સ્ય ઉત્પાદન અને નિકાસ દ્વારા મળતી વિદેશી આવક ગુજરાતને બ્લૂ ઈકોનોમીના આગેવાન રાજ્ય તરીકે ઉભું કરે છે. આ પ્રવાહ ગુજરાતની જળસંપત્તિના યોગ્ય સંચાલન અને સત્તાવાળાઓના સતત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે.
બ્લૂ ઈકોનોમીમાં ગુજરાતનું મોખરું સ્થાન અને વધતું મત્સ્ય ઉત્પાદન
તાજેતરના આધારભૂત આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતે વર્ષ 2024-25 દરમ્યાન 10.42 લાખ મેટ્રિક ટનની ઉપર મત્સ્ય ઉત્પાદન નોંધાવ્યું છે. તેમાં દરિયાઈ વિસ્તારમાંથી આશરે 7.64 લાખ મેટ્રિક ટનનો ભાગ છે, જ્યારે 2.78 લાખ મેટ્રિક ટન ઉત્પાદન અંતર્દેશીય તળાવો અને જળાશયોથી મળ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં કુલ ઉત્પાદન 11 લાખ મેટ્રિક ટનને પાર જશે એવું અનુમાન છે. ગુજરાતની ફ્રોઝન ઝીંગા અને રિબન ફિશ જેવી પેદાશો માટે ચીન, અમેરિકા અને યુરોપિયન બજારોમાં વિશેષ માંગ છે, જેના કારણે વિદેશી હૂંડિયામણમાં રાજ્યનું યોગદાન સતત વધી રહ્યું છે.
મોદીના વિઝન અને રાજ્ય સરકારના પગલાંએ મજબૂત બનાવ્યો ઉદ્યોગ
ગુજરાતની બ્લૂ ઈકોનોમીની યાત્રાનો પાયો તે સમય દરમિયાન નખાયો જયારે નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના દરિયાકાંઠાના વિકાસ માટે વિશેષ યોજના બનાવી હતી. તેમના વિઝનને આગળ વધારતા હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અનેક પ્રોત્સાહક પગલાં ભરવામાં આવ્યા છે. ડીઝલ પર વેટમાં ઘટાડો, બંદરોના આધુનિકીકરણ, માછીમારો માટે નવી સુવિધાઓ, તથા ઝીંગા ઉછેર માટે જમીન ફાળવણી જેવા પ્રયત્નો રાજ્યના મત્સ્યોદ્યોગને વધુ સશક્ત બનાવી રહ્યા છે. માધવડ, સૂત્રપાડા અને વેરાવળ-૨ સહિતના નવા માછીમારી બંદરોનો વિકાસ ઉદ્યોગને વધારે ગતિ આપશે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાથી વધ્યો વિકાસનો વેગ
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાએ ગુજરાતમાં આધુનિક અને સુવ્યવસ્થિત મત્સ્ય ઉદ્યોગના નિર્માણમાં મહત્વનો ફાળો આપ્યો છે. 2020-21થી 2024-25 દરમિયાન આ યોજનામાં રાજ્યને 897.54 કરોડના પ્રોજેક્ટોની મંજૂરી મળી છે. 2025-26મા વધારાના 50 કરોડ ફાળવાયા છે, જેનો સીધો લાભ માછીમારોને મળશે. યોજનાનો મુખ્ય હેતુ ઉત્પાદન વધારવું એટલો જ નહીં, પરંતુ સાગરખેડૂઓના જીવનધોરણમાં સ્થાયી સુધારો કરવો પણ છે. આ પ્રયાસો રાજ્યમાં બ્લૂ ક્રાંતિને વેગ આપી રહ્યા છે.

