આદિવાસી વિસ્તારમાં જૂની માન્યતાઓ યથાવત: હોસ્પિટલ ગેટે ‘આત્મા વિધિ’થી પ્રશાસન ચોંક્યું
આધુનિક અને વિજ્ઞાન આધારિત યુગ હોવા છતાં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ગામોમાં જૂની માન્યતાઓનો પ્રભાવ હજુ પણ ઊંડો જોવા મળે છે. ખોડિયાવલી ગામના રહેવાસી ધનજીભાઈ રાઠવાના મૃત્યુની ઘટના પછી તેમના પરિવારજનોએ હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે પરંપરાગત માન્યતા મુજબ બળવા(ભૂવા) સાથે ખાસ વિધિ કરી. આ વિધિનાં કારણે હોસ્પિટલ પરિસરમાં થોડો સમય ગૂંચવણ અને ચકચારનો માહોલ સર્જાયો.
મૃતકનો આત્મા ઘરે લઇ જવાની વિધિ
મૃત્યુના ત્રીજા દિવસે પરિવારજનોએ બળવા સાથે હોસ્પિટલ પહોંચીને ધૂપ-દીવો, મંત્રોચ્ચાર અને અન્ય પરંપરાગત ક્રિયાઓ કરી. બળવાને એવો દાવો કર્યો કે મૃત વ્યક્તિનો આત્મા હવે તેમની સાથે છે અને તેને ઘરે લઇ જવાઈ રહ્યો છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે આ પરંપરા વર્ષોથી તેમના સમાજમાં ચાલે છે અને આત્માને શાંતિ મળે તે માટે આ વિધિ જરૂરી માનવામાં આવે છે. ગામના ઘણા લોકો આ પરંપરાને ધાર્મિક અને સામાજિક ભાવનાથી જોડાયેલી માનતા હોવાનું પણ જણાય છે.
સ્ટાફ રોકી ન શક્યો, સુરક્ષાની ખામી સ્પષ્ટ
હોસ્પિટલના સ્ટાફે આ વિધિને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા ગાર્ડની અછત અને સ્ટાફની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે તેઓ સફળ ન થયા. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. કેવલ મોદીએ જણાવ્યું કે હોસ્પિટલ પરિસરમાં અંધશ્રદ્ધાને મંજૂરી આપવામાં આવતી નથી, પરંતુ ક્યારેક લોકોના જૂથને અટકાવવું મુશ્કેલ બને છે. તેમણે સ્ટાફને અગાઉથી સૂચના આપી હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા નબળી હોવાને કારણે આ ઘટના બની હોવાનું જણાવ્યું.
વિજ્ઞાન જાગૃતિ સંસ્થાના કાર્યકર્તા જયંત પંડ્યાએ આ ઘટનાની કડક નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે આત્માને બાંધીને લઇ જવાની કલ્પના વિજ્ઞાનના માપદંડ પર બિલકુલ સાચી નથી. આવી માન્યતાઓ લોકોમાં અજ્ઞાનતા ફેલાવે છે અને તેમને વૈજ્ઞાનિક સમજથી દૂર રાખે છે. તેમના મત મુજબ, આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન આધારિત શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમોની વધુ જરૂર છે જેથી ભવિષ્યમાં આવા બનાવો ઘટે.
સમાજમાં જાગૃતિની જરૂરિયાત યથાવત
આ ઘટનાએ ફરી બતાવી દીધું છે કે શિક્ષણ અને વૈજ્ઞાનિક પ્રગતિ હોવા છતાં અંધશ્રદ્ધા હજુ દૂર નથી થઈ. સમાજમાં સતત જાગૃતિ અભિયાન, સંવાદ અને શિક્ષણ દ્વારા જ આવા વલણમાં ફેરફાર લાવી શકાય છે, નહીં તો આવા બનાવો ફરી ફરી બનતાં રહેશે.

