ગાંધીનગર અને પાટણની ઘટનાઓ બાદ એન્ટી–રેગિંગ સિસ્ટમની અસરકારકતા પર ચર્ચા
રાજ્યની મેડિકલ કોલેજોમાં રેગિંગને નિયંત્રિત કરવા માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા અનેક કડક માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકારે પણ એન્ટી–રેગિંગ કમિટી, સ્ક્વોડ, મોનિટરિંગ સેલ અને અવેરનેસ અભિયાન જેવી વ્યવસ્થાઓ ફરજિયાત કરી છે. છતાં, રેગિંગની વારંવાર થતી ઘટનાઓ દર્શાવે છે કે આ સમગ્ર વ્યવસ્થા મોટાભાગે ફક્ત દસ્તાવેજોમાં પૂરતી રહી ગઈ છે. નિયમો હોવા છતાં કોલેજ સ્તરે તેનો અમલ કેટલો કડક છે તે અંગે શંકા ઊભી થાય છે.
ગાંધીનગર અને પાટણની ઘટનાઓ પછી પ્રશ્નો તીવ્ર બન્યા
ગાંધીનગર મેડિકલ કોલેજમાં તાજેતરમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના સામે આવતા 14 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તે પહેલાં પાટણ મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતાં રેગિંગ અંગે રાજ્યસ્તરે ચર્ચા ઉઠી હતી. આ બે મોટા બનાવો પછી સ્પષ્ટ થયું છે કે રાજ્યની મેડિકલ કોલેજોમાં રેગિંગના કેસો છૂટાછવાયા સ્વરૂપે સતત બનતા રહે છે, જેમાંથી ઘણા તો બહાર આવતાં પણ નથી.
કાગળ પર કડક નિયમો, અમલ દરમિયાન ક્યાંક ખામી
સરકારના નિયમો મુજબ દરેક મેડિકલ કોલેજે સતત મોનિટરિંગ, વિદ્યાર્થીઓ માટે ઓરિયન્ટેશન–અવેરનેસ કેમ્પ, એડમિશન સમયે લેખિત અન્ડરટેકિંગ અને વર્ષભર રેગિંગ વિરોધી અભિયાન ચલાવવાનું ફરજિયાત છે. નવા વિદ્યાર્થીઓની સલામતી માટે મેન્ટોરશીપ સિસ્ટમ તથા વિજિલન્ટ ટીમ મૂકવાની પણ જરૂરિયાત છે. છતાં, હકીકતમાં આ વ્યવસ્થાઓ કેટલી સક્રિય રીતે ચલાવવામાં આવે છે તે બાબત ચર્ચાનો વિષય બની છે. સિસ્ટમેટિક માળખું હોવા છતાં તેની અસર જમીન સ્તરે કેમ દેખાતી નથી તે સવાલ ગંભીર બન્યો છે.
સતત સામે આવતા કેસોથી સિસ્ટમ પર ઊઠી શંકા
જો તમામ માર્ગદર્શિકા અને સુરક્ષાત્મક પ્રક્રિયા સ્થિર છે, તો પછી દર થોડા સમયાંતરે રેગિંગની ઘટનાઓ કેમ સામે આવે છે તે પ્રશ્ન વધુ તીવ્ર બની રહ્યો છે. રાજ્યની વિવિધ મેડિકલ કોલેજોમાં દર બે–ત્રણ મહિને આવો કોઈ કેસ બહાર આવે છે, જેને પગલે આખી સિસ્ટમની કાર્યક્ષમતા પર ફરીથી સવાલો ઊભા થાય છે. નિષ્ણાતો માને છે કે નિયમોની અસરકારક અમલવારી વગર રેગિંગ રોકવાનો હેતુ પૂરો થઈ શકે નહીં.

