11 દિવસ ચાલેલા બુક ફેસ્ટિવલે સર્જનાત્મક સત્રો, વર્કશોપ્સ અને વૈશ્વિક હાજરીથી અનોખી ઓળખ બનાવી
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 આ વર્ષે અસાધારણ લોકપ્રિયતા મેળવી ગયો છે. 13થી 23 નવેમ્બર સુધી ચાલેલા આ મહોત્સવમાં કુલ 8.21 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે તેને રાજ્યમાં સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું પુસ્તક મહોત્સવ બનાવે છે. વાંચે ગુજરાત 2.0 અભિયાન સાથે જોડાયેલા આ કાર્યક્રમને તમામ વય જૂથના પુસ્તકપ્રેમીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. પુસ્તકપ્રેમીઓ માટે આ 11 દિવસનો મેળો વાંચન અને સર્જનાત્મકતા બંનેનો અનોખો સમન્વય સાબિત થયો.
ઉદ્ઘાટનથી જ સર્જાયો ઉત્સવનો માહોલ
13 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં આ મહોત્સવનું ઉદ્ઘાટન થયું હતું. સમૂહગાન અને સ્વદેશી પ્રતિજ્ઞા સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સરદાર પટેલને સમર્પિત અનેક પુસ્તકોનું વિમોચન પણ કરાયું હતું. લગભગ એક લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલા આ મહોત્સવમાં 300થી વધુ પ્રકાશકો જોડાયા હતા. બાળ સાહિત્યથી લઈને સર્જનાત્મક ચર્ચાઓ સુધી વિવિધ ઝોન સતત મુલાકાતીઓને આકર્ષિત કરતા રહ્યા હતા.
બાળકો અને યુવાનો માટે વિશેષ આકર્ષણ
બાળકો માટેના વર્કશોપ્સ, કથા–વાચન, ફિલ્મ ફેસ્ટિવલ અને કલા–હસ્તકલા જેવી પ્રવૃત્તિઓએ વિશેષ લોકપ્રિયતા મેળવી હતી. વિવિધ સ્પર્ધાઓ અને ઇનામ કાર્યક્રમોએ હજારો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. બીજી તરફ, યુવાનો માટેના જ્ઞાન ગંગા વર્કશોપ્સે બુક ફેસ્ટિવલની ઓળખને વધુ મજબૂત બનાવી હતી. કાવ્ય લેખન, નાટ્ય સર્જન, સ્ક્રિપ્ટિંગ અને ડિઝાઇન જેવા વિષયો પર આયોજિત સત્રોએ સર્જક અને વાચક વર્ગને સીધો સંવાદ કરવાનો મોકો આપ્યો હતો.
વૈશ્વિક વક્તાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો ઉમળકો
ચિલે, સ્પેન, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોના વિદ્વાનોની હાજરીએ આ મહોત્સવને આંતરરાષ્ટ્રીય ઊંચાઈ આપી હતી. ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ પર યોજાયેલા તેમના વિશેષ સત્રોને વિશાળ પ્રતિસાદ મળ્યો હતો. સાથે જ મેઇન સ્ટેજ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ દરરોજ ઉત્સવને જીવંત બનાવ્યો હતો. ફૂડ કોર્ટ, સ્ટાર્ટઅપ ઝોન, વિઆર પ્રદર્શન અને સ્વચ્છ કેમ્પસ જેવી સુવિધાઓએ મુલાકાતીઓને લાંબા સમય સુધી અહીં રોકાવા પ્રેર્યા હતા. પરિણામે, અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ને “જ્ઞાનનો મહાકુંભ” તરીકે ઓળખ મળવી સ્વાભાવિક બની છે.

