અમદાવાદ: ઢોંસાના ખીરામાં ઝેરનું રહસ્ય, શું બે દીકરીઓના મોત પાછળ માતા-પિતાનું જ કાવતરું?
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે નાની માસૂમ બહેનોના મોતના કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. અત્યાર સુધી જેને ડેરીના ખીરાને કારણે થયેલી ‘ફૂડ પોઈઝનિંગ’ની ઘટના માનવામાં આવતી હતી, હવે પોલીસને શંકા છે કે આ અકસ્માત નહીં પણ સામૂહિક આત્મહત્યાનો આયોજિત પ્રયાસ હોઈ શકે છે.
માતા-પિતાના નિવેદનોમાં વિરોધાભાસ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાબેન વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યા છે. ઘટનાક્રમ અને ખાવા-પીવાની બાબતોમાં દંપતીની વાતો એકબીજા સાથે મળતી આવતી નથી, જેના કારણે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની શંકા વધુ પ્રબળ બની છે.
ત્રણ મહિનાની બાળકીના ગુપ્ત અંતિમ સંસ્કાર
આ કેસમાં સૌથી વધુ શંકાસ્પદ બાબત એ છે કે, આ પરિવારે તેમની ૩ મહિનાની નાની બાળકીનું મોત થતા ૪ એપ્રિલે કોઈને પણ જાણ કર્યા વગર ગુપ્ત રીતે તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જ્યારે બીજા દિવસે બીજી દીકરીનું મોત થયું, ત્યારે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આટલી ગંભીર ઘટના છુપાવવા પાછળનું કારણ જાણવા પોલીસ આતુર છે.
પોલીસને આત્મહત્યાની શંકા કેમ છે?
તપાસ દરમિયાન કેટલાક એવા મુદ્દા સામે આવ્યા છે જે સામાન્ય અકસ્માત તરફ ઈશારો નથી કરતા:
- ખીરાનું વેચાણ: જે ડેરીમાંથી ખીરાની ખરીદી કરવામાં આવી હતી, ત્યાંથી અન્ય ૨૦૦ લોકોએ પણ ખીરા લીધા હતા, પરંતુ કોઈને પણ તકલીફ થઈ નથી. માત્ર એક જ પરિવારમાં ઝેરની અસર થવી એ પોલીસને ગળે ઉતરતું નથી.
- સ્તનપાન કરાવતી બાળકીનું મોત: ફોરેન્સિક એક્સપર્ટ્સ એ વાતથી હેરાન છે કે જે બાળકી માત્ર માતાનું દૂધ પીતી હતી, તેનું મોત આટલી ઝડપથી કેવી રીતે થયું? જો માતાની હાલત ગંભીર નહોતી, તો બાળકીના શરીરમાં ઝેર કેવી રીતે પહોંચ્યું? આ બાબત સૂચવે છે કે કદાચ બહારથી કોઈ ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હોઈ શકે છે.
હવે આગળ શું? પિતાની પૂછપરછ પર નિર્ભર
પિતા વિમલ પ્રજાપતિને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવનાર છે. હોસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ ચાંદખેડા પોલીસ તેમની અટકાયત કરીને કડક પૂછપરછ કરશે. પોલીસને આશા છે કે પિતાની પૂછપરછમાં આ કરુણ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે.
FSL રિપોર્ટની આતુરતાથી રાહ
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યારે બધું જ FSL (Forensic Science Laboratory) ના રિપોર્ટ પર ટકેલું છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ થશે કે બાળકોના શરીરમાં કયા પ્રકારનું ઝેર હતું અને શું તે જ ઝેર ઘરમાંથી મળી આવેલી કોઈ વસ્તુ કે ખીરામાં હતું કે નહીં.
જ્યાં સુધી વૈજ્ઞાનિક પુરાવા સામે ન આવે ત્યાં સુધી પોલીસ આ મામલે કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી નથી, પરંતુ અત્યારે તમામ પુરાવાઓ આ આખી ઘટનાને એક ‘પ્લાન્ડ સુસાઈડ’ તરફ લઈ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

