UAPA અને TADA કેસમાં સામેલ આરોપીઓનું રાજ્યવ્યાપી ડોઝિયર તૈયાર
ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને હથિયારો અને જીવલેણ સામગ્રી સાથે પકડી પાડવા છતાં, અને દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટને ગંભીરતાથી લઈને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલિક પગલાં લીધા હતા. રાજ્યસ્તરે તકેદારી વધારવા માટે તેમણે તમામ પોલીસ યુનિટોને ઝડપી એક્શન પ્લાન અમલમાં મૂકવાનો આદેશ આપ્યો. આ સાથે, 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં પકડાયેલા દરેક આરોપીના સઘન વેરિફિકેશન કરવા માટે સમગ્ર રાજ્યના પોલીસ વડાઓને 100 કલાકની અંદર કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.
31,834 આરોપીઓનું ઘરે જઈને ચેકિંગ પૂર્ણ
રાજ્યભરમાં પોલીસ સ્ટેશનોને મળેલા આદેશ બાદ વિશાળ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં રાજ્યએ છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કુલ 31,834 આરોપીઓનું ઘર-ઘર જઈને ચેકિંગ કર્યું. તપાસનો મુખ્ય ફોકસ UAPA, TADA, NDPS, આર્મ્સ, એક્સપ્લોઝિવ અને નકલી નોટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો હતા. પોલીસ ટીમોએ આ આરોપીઓની હાલની કામગીરી, આવકનાં સ્ત્રોત, નિવાસ અને વ્યવસાય જેવી માહિતી મેળવી સેન્સિટિવ વિગતોનો ડોઝિયર બનાવવાની શરૂઆત કરી છે.
37 ટકા આરોપીઓ મળી આવ્યા, 2,326નાં અવસાનની પુષ્ટિ
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે ચકાસાયેલા 31,834માંથી 11,880 આરોપીઓ મળી આવ્યા છે, જે કુલ આંકડાનો આશરે 37 ટકા ભાગ બને છે. આ તમામના ડોઝિયર પૂરાં થઈ ગયા છે. તદુપરાંત, 2,326 આરોપીઓ હવે હયાત નથી હોવાની માહિતી મળી છે. જ્યારે 3,744 વ્યક્તિઓએ પોતાનું સરનામું બદલી દીધું છે, જેના આધારે નવી જગ્યાએ જઈને પણ ચકાસણી થશે. કુલ 4,506 આરોપીઓ હાલમાં ગુજરાત રાજ્યની બહાર રહે છે અને તેમની સામેની કાર્યવાહી માટે અલગ માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.
હવે રાજ્ય બહારના આરોપીઓની સઘન ચકાસણીનો બીજો તબક્કો
પ્રથમ તબક્કો પૂર્ણ થતાં હવે પોલીસ રાજ્ય બહારના આરોપીઓની ચકાસણી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે વિશેષ SOP તૈયાર કરવામાં આવી છે, જેના આધારે ટીમો વિવિધ રાજ્યોમાં જઈને આરોપીઓનું વેરિફિકેશન કરશે. પોલીસનું માનવું છે કે આ અભિયાન માત્ર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ જ નહીં કરે, પરંતુ રાજ્યની લાંબાગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત આધાર પણ પૂરો પાડશે.

