રાસાયણિક ખેતીના ખર્ચ સામે પ્રાકૃતિક પાક વધુ નફાકારક
સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતી પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. રાસાયણિક ખાતર અને કીટનાશકોની અસરથી જમીનની તંદુરસ્તી ઘટી રહી છે, જેનાથી ખેડૂતો હવે કુદરતી રીતે પાક ઉગાડવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અનેક ખેડુતો પરંપરાગત ખેતીમાંથી બહાર આવી નવા પાકો અને ખાસ કરીને બાગાયતી પર ભાર મૂકી રહ્યા છે. ખેડૂતોએ અનુભવ્યું છે કે પ્રાકૃતિક પદ્ધતિમાં ખર્ચ ઓછો પડે છે અને ઉત્પાદકતા વધુ મળે છે.
ભાવનગરના જેસર વિસ્તારમાં કેળા વાવેતરનું વધતું ક્ષેત્રફળ
ભાવનગરના જેસર તાલુકામાં બાગાયતી પાકનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેમાં કેળાનું વાવેતર ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે. ફાસરા ગામે રહેતા જગદીશભાઈ ધૂંધળવા ઘણા સમયથી ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ રાસાયણિક ખેતીમાં ઓછા વળતરથી નિરાશ થયા બાદ તેઓએ પ્રાકૃતિક ખેતી અપનાવી. હાલ તેઓ છ વીઘા કરતાં વધુ જમીનમાં કેળાનું વાવેતર કરી રહ્યા છે અને પ્રત્યેક વીઘામાંથી ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે. કુદરતી રીતથી ખર્ચ ઘટે છે અને નફાકારકતા વધી રહે છે.
કપાસ–મગફળીમાંથી દૂર થઈ હવે કેળા જેવી નફાકારક ખેતી
જગદીશભાઈનું કહેવું છે કે રાસાયણિક ખેતીથી જમીનની શક્તિ ઘટતી જતી હતી અને ઉત્પાદન પણ અપેક્ષિત નહોતું. અગાઉ તેઓ કપાસ અને મગફળી વાવતાં હતાં, પરંતુ એક વીઘામાંથી માત્ર 20 થી 30 હજાર રૂપિયા સુધી જ મળતા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં અને કેળાનું ઉત્પાદન શરૂ કર્યું. પ્રથમ વર્ષમાં ચાર વીઘામાં કરેલા પ્રયોગ સફળ રહ્યા, જેના ઉત્સાહથી હવે વાવેતરમાં વધારો કરી વધુ જમીન હેઠળ કેળા ઉગાડી રહ્યા છે. એક વીઘામાંથી હવે 80 હજારથી વધુનું ઉત્પાદન મળતું થયું છે.
વેચાણ સરળ અને ભાવ અનુકૂળ હોવાથી ખેડૂત વધુ ઉત્સાહિત
કેળાની ખેતીનું મોટું આકર્ષણ એ છે કે માર્કેટ સુધી જવું પડતું નથી અને વેપારીઓ સીધા ખેતરેથી ખરીદી કરી જાય છે. આ કારણે માલવહન અને બજારની અવરજવરનો ખર્ચ પૂરેપૂરો બચી જાય છે. પ્રાકૃતિક રીતે ઉગાડાયેલા કેળાની માંગ સારી હોઈ ખેડૂતોને ઝડપી ખરીદદારો મળી જાય છે. ભાવમાં ક્યારેક ઘટાડો–વધારો રહેતો હોય છે, બજાર મજબુત હોય ત્યારે 400 રૂપિયા સુધીનો ભાવ મળે છે, જ્યારે ક્યારેક 100 જેટલો પણ મળી રહે છે, પરંતુ ઉત્પાદન મજબૂત મળતું હોવાથી નફો ટકી રહે છે.

