સુપ્રીમ કોર્ટમાં સ્વીકૃત દરખાસ્ત: ₹18000 કરોડના લેણા સામે 75% માફી, બેન્કરોમાં નારાજગી
જાહેરક્ષેત્રની બેન્કો અને સપ્લાયર્સના 18000 કરોડ ડૂબાડનાર વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર નીતિન સાંડેસરા અને તેમના ભાઈ ચેતન સાંડેસરાની 5100 કરોડ 30 દિવસમાં ચૂકવીને દરેક ગુનામાંથી માફી આપવાની દરખાસ્તેને આજે સુપ્રીમ કોર્ટમાં કાઉન્સિલર જનરલ તુષાર મહેતાએ સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે 21મી નવેમ્બરે લેખિત ઓર્ડર કરી પણ દીધો છે. આમ 18000 કરોડ રૃપિયાના ડિફોલ્ટરને 5100 કરોડ જમા કરાવીને તમામ ગુનામાંથી માફી મળી જશે. નીતિન સાંડેસરાએ 17મી ડિસેમ્બર સુધીમાં આ રૃપિયા જમા કરાવવામાં નિષ્ફળ જાય તો આ ચૂકાદો રદબાતલ થઈ જાય તેવી શક્યતા છે.
જાહેર ક્ષેત્રની બેન્કોના 15000 કરોડ અને અન્યના બાકી 3000 કરોડમાંથી માત્ર 5100 કરોડ ચૂકવશે
નીતિન સાંડેસરાવતીથી કોર્ટમાં આ કેસ લડી રહેલા સિનિયર કાઉન્સિલ મુકુલ રોહતગીએ આજે સુપ્રીમ કોર્ટમાં મૂકેલી 5100 કરોડ જમા આપીને બંને ભાઈઓને તમામ ગુનાઓમાંથી મુક્તિ આપી દેવાની દરખાસ્તને સોલીસિટર જનરલ તુષાર મહેતાએ આજે સુપ્રીમ કોર્ટમાં સ્વીકારી લીધી હતી.આ રકમ ભરવા માટે તેમને 28થી 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 17મી ડિસેમ્બર 2025 સુધીમાં આ સંપૂર્ણ રકમ જમા કરાવી દેવાનો તેમને આદેશ કરવામાં આવ્યો છે.
નીતિન સાંડેસરા આ રકમ 17 ડિસેમ્બર સુધીમાં જમા ન કરાવે તો તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટના આજનો ઓર્ડર રદ થઈ જશે.ત્યારબાદ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરીટના ચાર્જશીટ પ્રમાણે તેમની સામે પગલાં આવશે. બેન્કમાં જમા આપવામાં ્આવનારી રકમ કોન્સોર્ટિયમની બેન્કોએ કરેલા ધિરાણ પ્રમાણે એટલે કે પ્રો રેટામાં વહેંચી લેવાની રહેશે.
આ સેટેલમેન્ટ સાથે સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, પ્રીવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ, ફ્યુજીટીવ એક્ટ, બ્લેક મની એક્ટ અને ઇન્કમટેક્સ હેઠળ નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા દિપ્તી સાંડેસરા સામે કરવામાં આવેલા તમામ કેસોને લગતી કાર્યવાહી પડતી મૂકી દેવાની શરતે આ સેટલમેન્ટ કરવામાં આવ્યું ચે. નીતિન સાંડેસરાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ તપાસ કરી છે. તેમણે ચાર્જસીટ પણ ફાઈલ કરી હતી. આ ચાર્જશીટ પણ પાછી ખેંચી લેવાશે.
નીતિન સાંડેસરાને લગભગ 75 ટકા નાણાં માફ કરીને પૈસા ભરીને ગુનામાંથી માફી આપવાના નિર્ણયથી બેન્કરો નારજ હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્રિમિનલ એક્ટિવિટી કરનારાઓને માફી આપવાની પ્રથા શરૃ કરવામાં આવશે તો નિરવ મોદી, જતીન મહેતા, મેહૂલ ચોકસી અને વિજય માલ્ય સહિતના તમામ ડિફોલ્ટર્સ નાની રકમ જમા કરાવીને માફી મેળવી લેવાનો માર્ગ અપનાવશે. આ પ્રથા બેન્કના ભાવિ માટે જોખમી સાબિત થઈ શકે છે.
ફોરેન બોન્ડના ઇન્વેસ્ટર્સ કેસમાંથી હટી ગયા
ફોરેન કન્વર્ટિબલ બોન્ડમાં રોકાણ કરનારાઓ નીતિન સાંડેસરા સામેના આજના કેસમાંથી આજે સવારે જ છૂટા થઈ ગયા હતા. તેમણે તેમના 600 કરોડ અને વ્યાજ મળીને 1800 કરોડના લેણે માળવવા માટે અલગથી કેસ કરવાનું નક્કી કર્યું છે. પરિણામે 20000 કરોડને બદલે 18000 કરોડના બાકી લેણાનો કેસ સેટલ થયો છે. આ બોન્ડમાં ગલ્ફ કન્ટ્રી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન સંઘના દેશના ઇન્વેસ્ટર્સે તેમના નાણાંનું રોકાણ કર્યું હતં. તેઓ પણ તેના નાણાં પરત તેમને મળી જાય તેના પ્રયાસ કરી રહ્યા છે.
