સાંડેસરા કેસ: ભારતીય બેન્કિંગ સિસ્ટમ માટે નવી ચિંતા કે રાહત?
વડોદરા સ્થિતિ સ્ટર્લિંગ બાયોટેક કંપનીના પ્રમોટર્સ અને રૂ. 20,000 કરોડના બેન્ક ડિફોલ્ટર્સ નીતિન અને ચેતન સાંડેસરાભાઈઓને 5,100 કરોડ ચૂકવીને તમામ ગુનાઓમાંથી મુક્તિ આપવાની દરખાસ્તને સુપ્રીમ કોર્ટમાં કાઉન્સિલર જનરલ તુષાર મહેતા દ્વારા સ્વીકારી લેવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે મંજૂરીની મહોર મારી તે પછી વિજય માલ્યા, નિરવ મોદી, જતીન મહેતા અને મેહૂલ ચોકસી જેવા ભાગેડું ડિફોલ્ટર્સ પણ બેન્ક લોનના નાણાં જમા કરાવવા માટે ભારત સરકાર પાસેથી ઓછી રકમ ચૂકવીને તમામ ગુનાઓમાંથી માફી મેળવી લેવાનું સમાધાન મંજૂર કરાવવા માટે પ્રયાસ કરશે.
જોકે નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરાનો કેસ ભારતના આર્થિક ગુનાઓને(Economic offence) હેન્ડલ કરવાની પરંપરામાં મોટો ફેરફાર હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસ-વિશેષ છે. અપવાદરૂપ કેસને ઉદાહરણ તરીકે આગળ કરીને વિજય માલ્યા, નિરવ મોદી, જતીન મહેતા અને મેહૂલ ચોકસી (Vijay Mallya, Mehul Choksi, Nirav Modi and Jatin Mehta)જેવા બેન્કના બાકી લેણા ચૂકવ્યા વિના જ દેશ છોડીને ભાગેડુઓ પણ બેન્કોને ઓછી રકમ ચૂકવીને તમામ ગુનાઓમાંથી માફી મેળવવાનો માર્ગ અપનાવી શકે છે.
નીતિન અને ચેતન સાંડેસરાબંધુઓને બેન્ક ફ્રોડના તમામ ગુનાઓમાંથી માફી આપી દેવામાં આવી છે. તેમ જ તેમની સામેના ફોજદારી કેસ રદ કરી દેવામાં આવ્યા છે. જોકે તેઓ 17મી ડિસેમ્બર સુધીમાં રૂ. 5100 કરોડ બેન્કોમાં જમા આપી દે તે પછી જ તેમને સુપ્રીમ કોર્ટેમાં રજૂ કરવામાં આવેલી અને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલી દરખાસ્ત પ્રમાણે તમામ ગુનાઓમાંથી મુક્તિ મેળવી લેવાનો નો લાભ મળશે. સાંડેસરા બંધુઓ સુપ્રીમ કોર્ટમાં નક્કી થયેલી રકમ જમા ન કરાવે તો તેમની સામેના તમામ ગુનાઓને લગતા સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના તમામ કેસ ચાલુ રહેશે.
ડિફોલ્ટર જતીન મહેતા, વિજય માલ્યા, નિરવ મોદી અને મેહૂલ ચોકસી ભારતીય બેન્કોના અંદાજે રૂ. 35,000 કરોડથી વધુ બાકી નાણાં ચૂકવ્યા વિના જ ભારત છોડીને ભાગી ગયેલા છે. હવે તેઓ પણ સાંડેસરાબંધુઓની જેમ માફી મેળવી લેવા સક્રિય થશે તેવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે સાંડેસરાબંધુઓના કેસમાં આપેલો ચુકાદો ભારતના આર્થિક ગુનાઓના તવારીખમાં સૌથી મહત્ત્વના સેટલમેન્ટ્સ ઓર્ડર તરીકે જોવામાં આવી રહ્યો છે.
વિજય માલ્યા કિંગફિશર એરલાઈન્સ માટે લીધેલી લોનમાં રૂ.9,000 કરોડના ડિફોલ્ટર બન્યા પછી દેશ છોડીને ભાગી ગયેલો છે. આ જ રીતે નિરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કના રૂ. 13000 કરોડ ડૂબાડેલા છે. પંજાન નેશનલ બેન્ક સાથે કરવામાં આવેલા ફ્રોડમાં નિરવ મોદી સાથે મેહૂલ ચોકસી સહઆરોપી છે. આ જ રીતે જતીન મહેતા પણ બેન્કોના રૂ. 70000 કરોડ ડૂબાડીને દેશ છોડીને ભાગી ગયેલા છે. હવે તેમની પણ સેટલમેન્ટની દરખાસ્ત આવે તો બેન્કોએ બહુ જ મોટી રકમનું નુકસાન ભોગવવાનું આવી શકે છે.
બેન્કોએ આ ડિફોલ્ટરની મૂડી ગયા ખાતે ગણી લીધી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે અપનાવેલા વ્યવહારુ અભિગમ પ્રમાણે બેન્કો પણ જે નાણાં મળ્યા તે ખરાની માનસિકતા સાતે સમાધાન કરી લે તેવી સંભાવના છે. બીજીતરફ ભાજપના શાસકોએ દેશ છોડીને ભાગેલા ડિફોલ્ટર્સને ભારતમાં લાવીને તેમની પાસેથી બાકી નાણાં વસૂલ કરવામાં આવશે તેવી વારંવાર જાહેરાત કરેલી છે. તેથી દેશ છોડીને ભાગેલા બેન્ક ડિફોલ્ટર્સ પાસેથી બેન્કના પૈસા, ભલે ઓછા તો ઓછા, પરત આવે તો તે વર્તમાન કેન્દ્ર સરકારને વચન પૂરું કર્યાનો દાવો કરવાની તક પૂરી પાડશે. તેથી તેમને પણ આ પ્રકારના ડિફોલ્ટર્સના કેસમાં સમાધાન થાય તેવી અંદરથી ઇચ્છા હોવાનુ માનવામાં આવે છે.

