અદાણી ગ્રુપની બે નવી પહેલોથી IIT-ISM ખાતે અદ્યતન ટેક્નોલોજી અને ઇન્ટર્નશિપ તકો વધશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના શતાબ્દી સમારોહમાં ગૌતમ અદાણીએ રાષ્ટ્રના વિકાસ વિશે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ભારતે બાહ્ય દબાણોથી મુક્ત રહીને પોતાનો માર્ગ જાતે નક્કી કરવો જોઈએ અને સંસાધનોના સાર્વભૌમત્વ સાથે નવીનતાને કેન્દ્રસ્થાને રાખવી જરૂરી છે. તેમના મત મુજબ, કોઈ પણ રાષ્ટ્ર માટે નિર્ણય માત્ર પોતાનાં હિત અને ભાવિ જરૂરિયાતોને ધ્યાને રાખીને જ લેવાં જોઈએ.
કુદરતી સંસાધનો અને ઊર્જા પર નિયંત્રણને સ્વતંત્રતાનો સાચો આધાર
વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સંબોધતા અદાણીએ સમજાવ્યું કે 21મી સદીમાં વાસ્તવિક સ્વતંત્રતા ત્યારે મળે છે જ્યારે દેશ પોતાના કુદરતી સંસાધનો, ઊર્જા પ્રણાલીઓ અને ટેક્નોલોજી પર સંપૂર્ણ નિયંત્રણ ઉભું કરે. IIT-ISM ધનબાદની સ્થાપનાની પૃષ્ઠભૂમિ યાદ કરતાં તેમણે કહ્યું કે ખાણકામ અને ભૂગર્ભ વિજ્ઞાનમાં પ્રાવિણ્ય ભારતની આર્થિક સ્વતંત્રતાનો મુખ્ય પાયો છે. તેમણે આ બે ક્ષેત્રોને દેશના ભવિષ્યના બે મજબૂત સ્તંભ ગણાવ્યા.
વૈશ્વિક દબાણોને લઈને ચેતવણી, “નેરેટીવનું નિયંત્રણ આપણેજ કરવું”
ગૌતમ અદાણીએ એ વાત પણ ઉઠાવી કે ઊંચા ઉત્સર્જન ધરાવતા દેશો ભારત જેવા ઉદયમાન દેશોની પ્રાથમિકતાઓ નક્કી કરવાનો પ્રયાસ કરે છે. તેમના કહેવા પ્રમાણે, ભારતના ટકાઉપણાના કામને ઘટાડીને બતાવવાનો પ્રયત્ન વૈશ્વિક ESG માળખામાં રહેલા પૂર્વગ્રહનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે જો ભારત પોતાનું નેરેટીવ જાતે નિર્માણ નહીં કરે, તો દેશની આકાંક્ષાઓને ખોટી રીતે રજૂ કરવામાં આવશે અને વિકાસ અવરોધિત થશે.
દેશની સિદ્ધિઓ અને ઊર્જા ક્ષેત્રમાં અદાણી ગ્રુપનું યોગદાન
ભારતની પ્રગતિ વિશે બોલતાં અદાણીએ જણાવ્યું કે દેશ વિશ્વના સૌથી ઓછા માથાદીઠ ઉત્સર્જન ધરાવતા દેશોમાં સામેલ છે. સાથે જ ભારતમાં 50 ટકા કરતાં વધુ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતા નિર્ધારિત સમય પહેલાં હાંસલ થઈ ચૂકી છે. તેમણે કાર્માઇકલ ખાણને દેશની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી. ઉપરાંત ગુજરાતના ખાવડા વિસ્તારમાં 30 ગીગાવોટના વિશાળ નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટને પણ ભવિષ્યના સ્તંભ તરીકે રજૂ કર્યો.
IIT-ISM માટે બે નવી પહેલ અને નવી પેઢીને અદાણીની પ્રેરણા
શતાબ્દી કાર્યક્રમમાં ગૌતમ અદાણીએ બે મહત્વપૂર્ણ પહેલોની જાહેરાત કરી: દર વર્ષે 50 વિદ્યાર્થીઓને પેઇડ ઇન્ટર્નશિપ સાથે પ્રી-પ્લેસમેન્ટ ઓફર અને અદાણી 3S માઇનિંગ એક્સેલન્સ સેન્ટરના નિર્માણ. આ કેન્દ્રમાં મેટાવર્સ, ડ્રોન ટેક્નોલોજી અને ચોકસાઈ આધારિત ખાણકામ સાધનોનો સમાવેશ થશે. અંતમાં તેમણે ભારતને “બીજો આર્થિક સ્વતંત્રતા સંગ્રામ” ગણાવી, યુવાનોને નિર્ભય સ્વપ્નો જોવા અને અવિરત મહેનત દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરિત કર્યા.

