ગુજરાતમાં દિનપ્રતિદિન નવા ટીબી દર્દીઓ, રાજ્યમાં પરિસ્થિતિ ગંભીર
દેશમાં ક્ષયરોગ હજી પણ એક મોટો જાહેર આરોગ્ય સંકટ બની રહ્યો છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે માત્ર ગયા વર્ષે જ ટીબીના કારણે આશરે ત્રણ લાખ જેટલા દર્દીઓનું મોત થયું હોવાનું અનુમાન છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, વર્ષ 2024માં નોંધાયેલા આ મોતો જણાવે છે કે રોગ સામેની લડત હજુ પણ મુશ્કેલ અને લાંબી છે. આરોગ્ય તંત્ર માટે આ વાસ્તવિકતા ચેતવણી સમાન છે.
ગુજરાતમાં દિનપ્રતિદિન વધી રહેલા નવા કેસ
ગુજરાત રાજ્યમાં ટીબીના કેસો સતત વધી રહ્યા છે અને હાલની પરિસ્થિતિ ચિંતાજનક બની છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2025 વચ્ચે રાજ્યમાં 1,11,909 નવા દર્દીઓ નોંધાયા છે, એટલે કે સરેરાશ પ્રતિદિન લગભગ 365 નવા કેસ સામે આવી રહ્યા છે. અંદાજ મુજબ રાજ્યમાં દરરોજ આશરે 16 જેટલા દર્દીઓ ટીબીના કારણે જીવ ગુમાવી રહ્યા છે. ગત વર્ષે ગુજરાતમાં કુલ 1.37 લાખ કેસ નોંધાયા હતા.
અમદાવાદ અને દાહોદ જિલ્લાઓમાં વધુ અસર
રાજ્યમાં છેલ્લા નવ મહિનામાં નોંધાયેલા લગભગ 90 હજાર કેસોમાં અમદાવાદ સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે, જ્યાં 10 હજારથી વધુ દર્દીઓમાં ટીબીની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ દાહોદ જિલ્લામાં 5800થી વધુ કેસ નોંધાયા છે. માત્ર છેલ્લા એક મહિનામાં રાજ્યમાં 21 હજારથી વધુ નવા દર્દીઓ ઉમાયા છે, જે સંક્રમણના ઝડપી વધારા તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
રોગની અસર અને સમયસર સારવારની આવશ્યકતા
ટીબી સામાન્ય રીતે ફેફસાંને નુકસાન પહોંચાડે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તે મગજ, હાડકાં અને શરીરના અન્ય અંગો સુધી ફેલાઈ શકે છે. ગુજરાત સરકારે ટીબીના લક્ષણો દેખાતા જ નિદાન અને સારવાર સુલભ બને તે માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. સમયસર સારવાર અને નિયમિત દવાઓ લેવાથી રોગને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
રાષ્ટ્રીય સ્તરે ટીબીનો મોટો પડકાર
દેશવ્યાપી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય તરીકે સામે આવ્યું છે, જ્યાં છ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ટીબી સામેના પ્રયાસોને વધુ મજબૂત બનાવવા, આરોગ્યસેવાઓ વિસ્તૃત કરવા અને લોકોમાં જાગૃતિ વધારવાની અત્યંત જરૂર છે. ભારત માટે રોગનિયંત્રણનો આ પડકાર હજુ લાંબો માર્ગ બાકી હોવાનું જણાઈ રહ્યું છે.

