જસપ્રીત બુમરાહના અનુભવે શ્રેયંકા પાટીલને ડિપ્રેશન અને નિરાશામાંથી બહાર કાઢી

4 Min Read

લડો નહીં, બસ એ સ્થિતિમાં રહો” જસપ્રીત બુમરાહની સલાહે શ્રેયંકા પાટીલની રિકવરી યાત્રા સરળ બનાવી

ભારતીય મહિલા ક્રિકેટમાં પોતાની સ્પિન બોલિંગથી ધમાકેદાર એન્ટ્રી કરનાર શ્રેયંકા પાટીલ માટે છેલ્લું એક વર્ષ સહેલું નહોતું. 2024 ની મહિલા પ્રીમિયર લીગ (WPL)માં શાનદાર પ્રદર્શન કરીને પર્પલ કેપ જીતનાર અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને ઐતિહાસિક ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રેયંકા પાટીલ, તે પછી સતત ઇજાઓના કારણે લાંબા સમય સુધી મેદાનથી દૂર રહી.

2024 T20 વર્લ્ડ કપ અને 2025 ODI વર્લ્ડ કપમાં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવવાની આશા ધરાવતી આ 23 વર્ષીય સ્પિનર માટે પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. એક પછી એક ઇજાઓએ તેને લગભગ એક વર્ષ સુધી સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રાખી. આ સમયગાળો માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ તેના માટે અત્યંત પડકારજનક રહ્યો.

- Advertisement -

post image 29f914a.jpg

માનસિક સંઘર્ષ અને બુમરાહની મદદ

ઇજાઓમાંથી સાજા થવા માટે શ્રેયંકાએ લાંબો સમય BCCIના Centre of Excellence (CoE) માં પસાર કર્યો. સતત મેચોથી દૂર રહેવું અને રિકવરીની અનિશ્ચિતતા તેની માનસિક સ્થિતિ પર ભારે પડી રહી હતી. એ સમયે તેને એક એવો માર્ગદર્શક મળ્યો, જેણે પોતે પણ ઇજાઓ સામે લડીને શાનદાર વાપસી કરી છે જસપ્રીત બુમરાહ.

WPL 2026 પહેલા મીડિયા સાથે વાતચીત દરમિયાન શ્રેયંકાએ ખુલાસો કર્યો કે બુમરાહની એક સરળ પરંતુ ઊંડી સલાહે તેને આ કઠિન સમય પાર કરવા મદદ કરી.

- Advertisement -

“બુમરાહ ભૈયાએ મને કહ્યું કે તું જેમાંથી પસાર થઈ રહી છે એ ઠીક છે. દરેક ખેલાડી પોતાના કરિયરમાં આ તબક્કો જોવે છે. તું આ બહુ નાની ઉંમરે અનુભવી રહી છે. એટલે લડવાની કોશિશ ન કર, બસ એ સ્થિતિમાં રહીને તેને સ્વીકારી લે,” – શ્રેયંકા પાટીલ

શ્રેયંકાએ કહ્યું કે બુમરાહ પોતે પણ ઘણી ઇજાઓમાંથી પસાર થયો છે, એટલે તેની વાતોમાં અનુભવ અને સચ્ચાઈ બંને હતી. આ સલાહે તેને ધીરજ રાખવા અને રિકવરી પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા મદદ કરી.

ડેથ ઓવર્સ બોલિંગમાં પણ બુમરાહ પાસેથી શીખ્યું

શ્રેયંકા પાટીલ માત્ર માનસિક રીતે જ નહીં, પરંતુ ક્રિકેટિંગ દૃષ્ટિએ પણ બુમરાહ પાસેથી શીખવા ઇચ્છતી હતી. ખાસ કરીને ડેથ ઓવર્સ બોલિંગ અંગે.

- Advertisement -

ભલે બુમરાહ ફાસ્ટ બોલર છે અને શ્રેયંકા સ્પિનર, છતાં WPL જેવા ટૂર્નામેન્ટમાં સ્પિનરો પણ ડેથ ઓવર્સમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ બાબતે શ્રેયંકાએ બુમરાહને સીધા પ્રશ્નો પૂછ્યા.

 “હું તેને પૂછ્યું કે દબાણની સ્થિતિમાં બોલિંગ માટે કેવી રીતે તૈયારી કરવી? યોર્કર માટે સ્પિનર તરીકે કેવી રીતે પ્રેક્ટિસ કરવી? શું સ્પોટ બોલિંગ કરવું, કે હિટર્સ સામે બોલિંગ કરવી?” – શ્રેયંકા

તેના જવાબમાં બુમરાહે પ્રેક્ટિસ અને માનસિક તૈયારી અંગે એવા સૂચનો આપ્યા જેને શ્રેયંકા “બ્રિલિયન્ટ” ગણાવે છે.

WPL 2025 ચૂકી, હવે WPL 2026માં મજબૂત વાપસીની તૈયારી

શ્રેયંકા પાટીલ WPL 2025માં સંપૂર્ણપણે રમવા ચૂકી ગઈ હતી, પરંતુ રિકવરીના ભાગરૂપે તેણે કર્ણાટકની T20 લીગ અને પછી સપ્ટેમ્બરમાં કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં બાર્બાડોસ રોયલ્સ માટે થોડા મેચ રમ્યા. આ મેચો તેના માટે આત્મવિશ્વાસ પાછો મેળવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ.

હવે WPL 2026માં RCB માટે તેની વાપસી થઈ રહી છે. આશા છે કે તે ફરી એકવાર 2024 જેવી અસરકારક સીઝન આપશે, જ્યાં તેણે 13 વિકેટ લઈને પ્લેઓફમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

PTI05 06 2024 000228B 0 1715077317786 1743917521862.jpg

મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે WPL 2026ની શરૂઆત

WPL 2026માં RCBની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. શ્રેયંકા માટે આ મેચ માત્ર એક ટૂર્નામેન્ટની શરૂઆત નહીં, પરંતુ એક લાંબી અને સંઘર્ષભરી યાત્રા પછી પોતાની જાતને ફરી સાબિત કરવાની તક હશે.

શ્રેયંકા પાટીલની કહાની માત્ર ક્રિકેટની નથી, પરંતુ ધીરજ, માનસિક મજબૂતી અને યોગ્ય માર્ગદર્શનની પણ છે. જસપ્રીત બુમરાહની “લડો નહીં, બસ એમાં રહો” જેવી સરળ સલાહે તેને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં મદદ કરી. હવે ક્રિકેટ ચાહકોને આશા છે કે શ્રેયંકા ફરી એકવાર પોતાની સ્પિન જાદૂથી WPL 2026માં છવાઈ જશે.

Share This Article