સોમનાથ મંદિર પરિસરમાં ભક્તિનો મહોત્સવ: હંસરાજ રઘુવંશીના ગીતોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા
સોમનાથ સ્વાભિમાન પર્વના ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના કંઠે શિવ ભક્તિના ગીતોની સરવાણી વહી હતી. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા શિવ ભક્તો સંગીતના તાલે મંત્રમુગ્ધ બન્યા હતા. સોમનાથ મંદિરનું પરિસર મહાદેવના જયઘોષ અને ભક્તિમય સંગીતથી ગુંજી ઉઠ્યું હતું. કલાકારની પ્રસ્તુતિએ ઉપસ્થિત તમામ લોકોના હૃદયમાં શ્રદ્ધાનો નવો સંચાર કર્યો હતો અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
લોકપ્રિય ભજનો પર ઝૂમી ઉઠ્યા શિવભક્તો
સાંસ્કૃતિક સંધ્યા દરમિયાન મેરા ભોલા હૈ ભંડારી અને ભોલેનાથ કી શાદી જેવા અત્યંત લોકપ્રિય ગીતો પર પ્રવાસીઓ અને ભક્તો શિવ ભક્તિમાં રંગાઈ ગયા હતા. શિવ સમા રહે મુજમે જેવા આધ્યાત્મિક ગીતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ આ સંગીતમય વાતાવરણમાં આનંદ અને આધ્યાત્મિકતાનો અદભૂત અનુભવ કર્યો હતો. મંદિર પરિસરમાં ભક્તિનો એવો પ્રવાહ વહ્યો હતો કે લોકો પોતાની સુધબુધ ભૂલીને મહાદેવની ભક્તિમાં લીન થઈ ગયા હતા.
મહાનુભાવોની હાજરીમાં યાદગાર ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલા આ સ્વાભિમાન પર્વમાં સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સંકલનથી આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વ્યવસ્થિત આયોજનને કારણે હજારો ભક્તો માટે આ પર્વ જીવનભરનું સંભારણું બની રહ્યું છે. વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી સોમનાથની પવિત્રતા અને ભવ્યતામાં ચાર ચાંદ લાગી ગયા છે.

