સાબરમતી રિવરફ્રન્ટ પર રંગબેરંગી પતંગોથી આકાશ ઝળહળશે
ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વને યાદગાર બનાવવા માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી ૧૨ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાશે, જેમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહીને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોનો નજારો નિહાળશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ મહોત્સવને વિશ્વ કક્ષાની ઓળખ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
૫૦ દેશોના પતંગબાજો આકાશ ગજવશે
આ વર્ષે પતંગ મહોત્સવમાં વિશ્વના ૫૦ દેશોમાંથી ૧૩૫ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો ભાગ લેવા આવી રહ્યા છે. ભારતભરના ૧૪ રાજ્યોમાંથી પણ ૯૦૦થી વધુ પતંગ રસીયાઓ પોતાની અવનવી પતંગો સાથે અમદાવાદમાં જમાવડો કરશે. કુલ ૧૦૦૦થી વધુ પતંગબાજોના હસ્તકલાના નમૂના સમાન પતંગોથી અમદાવાદનું આકાશ ઝળહળી ઉઠશે. પ્રવાસીઓની સુવિધા માટે રિવરફ્રન્ટ ખાતે ખાસ હસ્તકલા બજાર અને ફૂડ સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક વાનગીઓનો લ્હાવો માણી શકાશે.
રાત્રિ પતંગ ઉડાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો
આ મહોત્સવમાં ૧૩ જાન્યુઆરીની રાત્રે આકાશમાં અંધારા વચ્ચે પ્રકાશિત પતંગોની ઉડાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સાથે જ અમદાવાદની હેરિટેજ પરંપરાને ઉજાગર કરતી હવેલી અને પૌરાણિક પોળની પ્રતિકૃતિઓ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવશે. સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામશે, જેમાં સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે પોતાના સૂર રેલાવશે. આ કાર્યક્રમો દ્વારા ગુજરાતના લોક સંગીત અને કળાને વૈશ્વિક મંચ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં પતંગોત્સવની ધૂમ
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદ ઉપરાંત ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રાજકોટ, સુરત તેમજ કચ્છના ધોળાવીરા ખાતે યોજાશે. તે બાદ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વડનગર, શિવરાજપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જ્યારે ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વડોદરા શહેરમાં પતંગ મહોત્સવ ઉજવાશે.
પ્રવાસન વિભાગના મતે ગયા વર્ષે ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓએ આ મહોત્સવનો આનંદ લીધો હતો, ત્યારે આ વર્ષે પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શિવરાજપુર બીચ જેવા પ્રવાસન સ્થળોએ પણ પતંગોત્સવના આયોજનથી રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને નવું બળ મળશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ પર્વને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.

