વડોદરા જિલ્લાના ખેડૂત કશ્યપભાઈ રાય બન્યા પ્રમાણિત ટ્રેનર
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાસણપુરા ગામના કશ્યપભાઈ હરિશ્ચંદ્ર રાયે ખેતીને નફાકારક વ્યવસાય બનાવી દીધો છે. વર્ષ ૨૦૧૯ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવનાર કશ્યપભાઈ આજે માત્ર ખેડૂત જ નહીં પરંતુ પ્રમાણિત ટ્રેનર તરીકે ઉભરી આવ્યા છે. હાલોલની ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન યુનિવર્સિટી હેઠળ તેઓ પોતાની આઠ એકર જમીનને જિલ્લા તાલીમ કેન્દ્ર તરીકે વિકસાવી રહ્યા છે. રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને તેમણે કુદરતી ખેતીના માધ્યમથી જમીનને ફરી જીવંત કરી છે.
પંચસ્તરિયા મોડેલ અને બમ્પર આવકની સફળતા
કશ્યપભાઈ તેમના ‘જયશ્રી ઉપવાન’ ખેતરમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો અમલ કરી રહ્યા છે. તેઓ પંચસ્તરિયા અને એગ્રો ફોરેસ્ટ્રી મોડેલ દ્વારા એકસાથે અનેક પાકો લે છે. તેમના ખેતરમાં સાગના ૫૦૦ વૃક્ષોની વચ્ચે હળદર, આદુ, સુરણ અને ગુલાબી બટાકા જેવા પાક લહેરાઈ રહ્યા છે. આ પદ્ધતિથી તેઓ વર્ષે અંદાજે ૧૫ લાખ રૂપિયાની મબલખ આવક મેળવી રહ્યા છે. જેમાં શાકભાજીમાંથી દોઢ લાખ અને અન્ય રોકડિયા પાકો તથા મસાલામાંથી ૧૨ થી ૧૪ લાખ રૂપિયાની કમાણી થાય છે.
વિવિધ ફળો અને દુર્લભ પાકોનું વાવેતર
તેમના ખેતરમાં કેરીની સાત જાતો ઉપરાંત જામફળ, લીંબુ, નારંગી, મોસંબી અને ડ્રેગન ફ્રૂટ જેવા અનેક ફળો જોવા મળે છે. એટલું જ નહીં, લિચી, ચેરી, વોટર એપલ, એવોકાડો અને સફરજન જેવા દુર્લભ પાકોનું પણ તેમણે સફળતાપૂર્વક વાવેતર કર્યું છે. એગ્રો ફોરેસ્ટ્રી દ્વારા તેઓ લાંબા ગાળે ૧૦ વર્ષ પછી સાગના લાકડાના વેચાણમાંથી ૧૦ લાખ રૂપિયાની વધારાની આવકની અપેક્ષા રાખી રહ્યા છે. કાળી માટીની જમીન પર વિવિધ સ્તરે પાક લઈને તેમણે જમીનનો મહત્તમ ઉપયોગ કરી બતાવ્યો છે.
૨૦૦૦ થી વધુ ખેડૂતો માટે પ્રેરણાનું કેન્દ્ર
કશ્યપભાઈ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સરકારની વિવિધ સહાયનો લાભ લઈ રહ્યા છે. તેમના ફાર્મની અત્યાર સુધીમાં ૨૦૦૦ થી વધુ ખેડૂતોએ મુલાકાત લીધી છે અને પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ તાલીમ મેળવી છે. તેમનો મુખ્ય હેતુ ખેડૂતોને રાસાયણિક ખેતીના વિષચક્રમાંથી બહાર લાવીને આત્મનિર્ભર બનાવવાનો છે. ગાય આધારિત આ ખેતી પદ્ધતિથી માત્ર ખેડૂતોની આવક જ નથી વધતી પરંતુ સમાજને પણ સ્વાસ્થ્યપ્રદ અને શુદ્ધ ખોરાક મળી રહે છે, જે આવતી પેઢી માટે આશીર્વાદરૂપ છે.


