દાહોદ જિલ્લામાં આદિવાસી શિક્ષણને નવી દિશા આપતો એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલનો વાર્ષિકોત્સવ
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના છેવાડાના છપરવડ ગામે આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ (EMRS) ખાતે ભવ્ય વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, એવોર્ડ અને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકતા વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી.
આદિવાસી દીકરા-દીકરીઓ માટે ‘સોનેરી તક’
કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે આદિવાસી બાળકોની શિક્ષણની ચિંતા કરીને આધુનિક સુવિધાઓ સજ્જ એકલવ્ય સ્કૂલો બનાવી છે. અહીં રહેવા, જમવા, યુનિફોર્મ અને પુસ્તકો સહિતનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે.” તેમણે વિદ્યાર્થીઓને આ સોનેરી તકનો લાભ લઈ, આર્થિક મુશ્કેલીઓને માત આપીને જિલ્લા અને દેશનું નામ રોશન કરવા હાકલ કરી હતી.
મહાનુભાવોનું પ્રેરક માર્ગદર્શન
આ પ્રસંગે કૃષિ મંત્રી રમેશભાઈ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર અને અન્ય ધારાસભ્યશ્રીઓએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એકલવ્ય સ્કૂલ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ આદિવાસી સમાજના સપનાઓને પાંખો આપવાનું માધ્યમ છે. કલેક્ટર યોગેશ નિરગુડે અને પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ વહીવટી તંત્ર દ્વારા અપાતી સુવિધાઓની વિગતો રજૂ કરી હતી.
ઉપસ્થિત મહાનુભાવો
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્યશ્રીઓ મહેન્દ્રભાઇ ભાભોર, કનૈયાલાલ કિશોરી, શૈલેષભાઈ ભાભોર, બચુભાઈ ખાબડ તેમજ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

