તસ્કરીથી લઈને આપત્તિ રાહત સુધી સમુદ્રમાં કાયદો, સુરક્ષા અને પર્યાવરણનું રક્ષણ કરતું શક્તિશાળી દળ
‘વયમ રક્ષામહ’ (અમે રક્ષણ કરીએ છીએ) ના ઉમદા ધ્યેય સાથે ભારતીય તટરક્ષક (Indian Coast Guard) છેલ્લા ૫૦ વર્ષથી ભારતની દરિયાઈ સીમાઓનું રક્ષણ કરી રહ્યું છે. ૧૯૬૦ના દાયકામાં ભારતીય નૌસેનાએ એક એવા સહાયક દળની જરૂરિયાત અનુભવી હતી જે ખાસ કરીને સમુદ્રી કાયદાઓનું પાલન કરાવે. ૧૯૭૦ના દાયકામાં ત્રણ મુખ્ય કારણોસર આ દળની સ્થાપના અનિવાર્ય બની:
૧. તસ્કરી પર અંકુશ: સમુદ્ર માર્ગે થતી ગેરકાયદેસર તસ્કરી દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહી હતી, જેને રોકવા માટે ૧૯૭૦માં ‘નાગ સમિતિ’એ અલગ મરીન દળની ભલામણ કરી.
૨. વિશિષ્ટ આર્થિક ઝોન (EEZ): ૧૯૭૨માં સંયુક્ત રાષ્ટ્રના સમુદ્ર કાયદા (UNCLOS) બાદ ભારતને ૨.૦૧ મિલિયન ચોરસ કિમીનો વિશાળ સમુદ્રી વિસ્તાર મળ્યો, જેની સુરક્ષા માટે મજબૂત વ્યવસ્થા જરૂરી હતી.
૩. ઓફશોર સંપત્તિ: મુંબઈ હાઈમાં તેલના ભંડારોની શોધ થતા આ આર્થિક ક્ષેત્રની સુરક્ષા માટે વિશેષ પોલીસિંગની જરૂર પડી.
રુસ્તમજી સમિતિ અને સત્તાવાર સ્થાપના
વર્ષ ૧૯૭૪માં શ્રી કે.એફ. રુસ્તમજીના અધ્યક્ષસ્થાને બનેલી સમિતિએ સમુદ્રી પોલીસિંગ માટે ‘કોસ્ટ ગાર્ડ’ જેવી સંસ્થાની ભલામણ કરી. જેના પરિણામે ૧ ફેબ્રુઆરી ૧૯૭૭ના રોજ ભારતીય તટરક્ષક દળની સ્ત્તાવાર સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં માત્ર સાત જૂના જહાજો (Surface Platforms) થી કાર્યરત થયેલું આ દળ આજે વિશ્વના સૌથી શક્તિશાળી તટરક્ષક દળોમાં સ્થાન ધરાવે છે.
મલ્ટી-મિશન ફોર્સ તરીકેની ભૂમિકા
આજે ભારતીય તટરક્ષક દળ માત્ર સરહદની રક્ષા જ નથી કરતું, પરંતુ તેની જવાબદારીઓ બહુપક્ષીય છે:
-
સર્ચ એન્ડ રેસ્ક્યુ: ૪.૬ મિલિયન સ્ક્વેર કિમીના વિશાળ વિસ્તારમાં ફસાયેલા માછીમારો અને જહાજોને બચાવવાની કામગીરી.
-
બ્લુ ઇકોનોમી: મેરિટાઇમ ટ્રાન્સપોર્ટેશન અને દરિયાઈ સંસાધનોના સુરક્ષિત વિકાસમાં સહયોગ.
-
પર્યાવરણ સંરક્ષણ: સમુદ્રમાં તેલના ઢોળાવ (Oil Spill) જેવી આપત્તિઓ રોકી દરિયાઈ જીવસૃષ્ટિનું જતન કરવું.
-
એન્ટી-પોચિંગ: ગેરકાયદેસર માછીમારી અને વિદેશી ઘૂસણખોરી સામે લાલ આંખ.
ભારતીય તટરક્ષક દળ આજે ભારતની સમુદ્રી સુરક્ષાનો મજબૂત આધારસ્તંભ છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ બનેલા આધુનિક જહાજો અને વિમાનોથી સજ્જ થઈને રાષ્ટ્રની અવિરત સેવા કરી રહ્યું છે.

