કચ્છ ખાસ ભરતીથી ગ્રામ્ય શિક્ષણને બળ, “નિમણૂંક ત્યાં જ નિવૃતિ” નીતિ સાથે શિક્ષકોને નવી જવાબદારી
ભુજની આર.ડી.વરસાણી હાઇસ્કૂલ ખાતે આજે એક ગરિમામય કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે ૧૬૩ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકેના નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લા માટેની આ “સ્પેશિયલ ભરતી” ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે શિક્ષણનો નવો ઉજાસ લઈને આવી છે. મંત્રીશ્રીએ આ પ્રસંગે શિક્ષકોને જણાવ્યું હતું કે, આ માત્ર નોકરીનો આદેશ નથી પણ ઉજ્જવળ ભારતના ઘડતર માટેનો “સંકલ્પ પત્ર” છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) પર ભાર
શિક્ષણમંત્રીશ્રીએ તેમના પ્રબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે:
-
કૌશલ્ય સર્જન: બાળકોને માત્ર ગોખણીયા જ્ઞાન કે માર્ક્સની ‘નંબર ગેમ’માં કેદ ન રાખતા, તેમના કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ.
-
જોબ ક્રિએટર: આપણો યુવાન નોકરી શોધનાર નહીં પણ ‘જોબ ગિવર’ બને તેવું શિક્ષણ આપવું એ આજની જરૂરિયાત છે.
-
નિયુક્તિ ત્યાં જ નિવૃતિ: કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા જળવાય તે માટે ‘જ્યાં નિમણૂંક ત્યાં જ નિવૃતિ’ની નીતિ અત્યંત કારગત નીવડશે.
વિકસિત ભારત @૨૦૪૭ નો સંકલ્પ
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૪૭માં જ્યારે ભારત આઝાદીની શતાબ્દી ઉજવતું હશે, ત્યારે તેને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પાયો આજના શિક્ષકો નાખશે. તેમણે નિમણૂંક પત્રોને વિકસિત ભારતની યાત્રાના “બોર્ડિંગ પાસ” ગણાવ્યા હતા. વિકસિત ભારતનો અર્થ માત્ર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પરંતુ દરેક નાગરિકના જીવનસ્તરમાં સુધારો છે અને તેમાં શિક્ષકની ભૂમિકા પાયાની છે.
સ્થાનિક પ્રતિનિધિઓ અને મહાનુભાવોનો પ્રતિસાદ
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ ભરતીથી કચ્છના ગામડાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યા દૂર થશે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવીએ આ ખાસ આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
