બંગાળમાં હવે ‘મા, માટી, માનુષ’ સુરક્ષિત નથી, જનતા પરિવર્તન માટે મતદાન કરશે: મમતા બેનર્જી પર અમિત શાહના આકરા પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં આયોજિત ભાજપ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જે ‘મા, માટી, માનુષ’ ના નારા સાથે મમતા બેનર્જી સત્તામાં આવ્યા હતા, આજે તે ત્રણેય બંગાળમાં અસુરક્ષિત છે. શાહે દાવો કર્યો હતો કે આગામી ચૂંટણીમાં ભાજપ 50% થી વધુ મતો સાથે સરકાર બનાવશે.
“આ ચૂંટણી માત્ર બંગાળ માટે નહીં, રાષ્ટ્રીય સુરક્ષા માટે છે”
અમિત શાહે કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ અને ઘૂસણખોરીના મુદ્દે મમતા સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, “બંગાળમાં મહિલાઓની સુરક્ષાની કોઈ ગેરંટી નથી. ‘માનુષ’ એટલે કે જનતા મમતાના સિન્ડિકેટથી પરેશાન છે અને બંગાળની ‘માટી’ ને ઘૂસણખોરો ગળી રહ્યા છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણી માત્ર રાજ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. જમીનની સમસ્યાને કારણે સરહદ પર ફેન્સિંગ (વાડ) નું કામ અટકેલું છે અને રાજ્યની પોલીસ ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહી છે.
વંદે માતરમનો વિરોધ એટલે બંગાળની ઓળખનું અપમાન
વંદે માતરમની 150મી વર્ષગાંઠનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, એક તરફ પીએમ મોદીની સરકાર આખા દેશમાં આ ઉત્સવ ઉજવી રહી છે, તો બીજી તરફ જે ધરતી પર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વંદે માતરમની રચના કરી હતી, ત્યાં જ મમતા બેનર્જીના સાંસદો સંસદમાં તેનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી વોટ બેંકની રાજનીતિ અને ઘૂસણખોરોને ખુશ કરવા માટે વંદે માતરમનો વિરોધ કરી રહ્યા છે. આ પીએમ મોદીનો વિરોધ નથી, પરંતુ બંગાળની ઓળખ અને ભારતના ગૌરવનું અપમાન છે.
રામાયણનું ઉદાહરણ અને 50% મતોનો દાવો
રામાયણની ઘટના સાથે સરખામણી કરતા અમિત શાહે કહ્યું, “જે રીતે રાવણને લાગતું હતું કે તે અજેય છે, તેવી જ રીતે મમતા બેનર્જીને પણ લાગે છે. પરંતુ જ્યારે ભગવાન શ્રીરામે રામસેતુ બનાવ્યો ત્યારે રાવણનો ભ્રમ તૂટી ગયો હતો.” તેમણે ચેતવણી આપી હતી કે આ વખતે ભાજપનો વોટ શેર 50% ને પાર કરી જશે અને રાજ્યમાં ભારે બહુમતી સાથે દેશભક્તોની સરકાર બનશે.
કોર્ટના આદેશનો ઉલ્લેખ અને જનતાને અપીલ
અમિત શાહે કલકત્તા હાઈકોર્ટનો આભાર માન્યો હતો, જેણે રાજ્ય સરકારને 31 માર્ચ 2026 પહેલા BSF ને સરહદ પર વાડ બનાવવા માટે જમીન સોંપવાનો આદેશ આપ્યો છે. તેમણે બંગાળના નાગરિકોને અપીલ કરી હતી કે, “મમતા અને TMC વોટ બેંક માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત રમી રહ્યા છે. આવનારી ચૂંટણીમાં આ અત્યાચારી શાસનને ઉખેડી ફેંકો અને બંગાળના ગૌરવને પુનઃસ્થાપિત કરો.”

