રક્તપિત હવે અસાધ્ય નથી: વહેલા નિદાન અને વિનામૂલ્યે સારવારથી વિકૃતિ અટકાવી શકાય – આરોગ્ય વિભાગ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લામાં ‘સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન-૨૦૨૬’ (SLAC) ની શરૂઆત થઈ છે. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રક્તપિત્તને નાબૂદ કરવા અને સમાજમાં ફેલાયેલી ભ્રાંતિઓ દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વર્ષની થીમ “Ending Discrimination, Ensuring Dignity” (ઘૃણાનો અંત લાવો, ગૌરવને સ્વીકારો) સાથે ગ્રામસભાઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે.
સુરત અને તાપી જિલ્લામાં રોગનું પ્રમાણ
જિલ્લા રક્તપિત્ત અધિકારી જિજ્ઞેશ પટેલે માહિતી આપી કે, ડિસેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સુરત જિલ્લામાં રક્તપિત્તનો પ્રમાણદર ૧૦,૦૦૦ની વસ્તીએ ૦.૬૪ છે, જ્યારે તાપીમાં આ દર ૨.૧૬ છે. નોંધનીય છે કે ગુજરાતના ૪ હાઈ-એન્ડેમિક જિલ્લાઓમાં સુરત પણ સામેલ છે જ્યાં રોગનો દર ૧ થી ઓછો લાવવામાં સફળતા મળી છે. સુરત શહેર-જિલ્લામાં હાલ ૪૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે.
રક્તપિત્ત વિશેની ગેરમાન્યતાઓ અને સત્ય
રક્તપિત્ત એ ‘માઈક્રોબેક્ટેરિયમ લેપ્રી’ નામના જીવાણુથી થતો રોગ છે. તે સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી કે સાથે બેસવાથી ફેલાતો નથી. તે માત્ર શ્વાસોશ્વાસ મારફતે લાંબા સમયના સંપર્કથી ફેલાઈ શકે છે, પરંતુ નિયમિત સારવાર શરૂ કર્યા બાદ તેનો ચેપ ફેલાતો અટકી જાય છે. તે કોઈપણ ઉંમરે અને કોઈપણ વ્યક્તિને થઈ શકે છે અને તે વારસાગત રોગ નથી.
સારવાર અને વિકૃતિ નિવારણના પ્રયાસો
રક્તપિત્તના કારણે થતી શારીરિક વિકૃતિ દૂર કરવા માટે સુરત અને તાપીમાં છેલ્લા ૮ વર્ષમાં ૫૪ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવી છે. વધુમાં, પગમાં બધિરતા ધરાવતા દર્દીઓને પગમાં ચાંદા (અલ્સર) ન પડે તે માટે ‘માઈક્રો સેલ્યુલર રબર શૂઝ’ (MCR) પૂરા પાડવામાં આવ્યા છે. સરકારી દવાખાનાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે MDT (મલ્ટી ડ્રગ થેરાપી) સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
લક્ષણો પર રાખો નજર:
-
શરીરના ભાગ પર આછું, ઝાંખું કે રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું.
-
જ્ઞાનતંતુઓ જાડા થવા અને તેમાં દુખાવો થવો.
