એક તરફ સરકાર ગરીબોને જે અનાજ નિ:શુલ્ક આપે છે, તે અનાજ રેશનિંગની દુકાનોમાંથી બારોબાર કાળા બજારિયા સુધી પહોંચી જતું હોવાના બનાવો વધી ગયા છે.
અમદાવાદમાં આ દુષણ વધ્યું છે અને કહેવાય છે કે અનાજ ચોર ટોળકી ગરીબો માટેના આ ઘઉં જુદી-જુદી ફ્લોર ફેક્ટરીને સપ્લાય કરે છે અને તે ફેક્ટરીઓ આ જ ઘઉંના લોટનું પેકિંગ કરીને દુકાનો-મોલમાં વેચતા હોવાની વાત અગાઉ પણ સામે આવી ચૂકી છે.
આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમોથી આગળ જઈ આઈપીસીની કલમ 409 દાખલ થઈ શકે, જેમાં રેશનિંગના અનાજનાં કાળાં બજાર કરતા તત્ત્વોને આજીવન કેદની સજા પણ થઈ શકે છે.
કોઈ પણ રાજ્ય સેવક-એજન્ટ-વેપારી સરકાર સાથે ગુનાઇત વિશ્વાસઘાત કરે તેવા કિસ્સામાં આઈપીસી કલમ 409 દાખલ કરવામાં આવે છે.
અનાજના કાળા બજાર કૌભાડમાં સસ્તા અનાજના દુકાનદાર અને કૌભાડીઓ ઉપરાંત જવાબદાર અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ સામે પણ સવાલો ઉઠયા છે અને આ મામલે પણ અનેક લોક ચર્ચાઓ ઉઠવા પામી છે આવા સમયે કાળા બજારીયા તત્વો કોણ કોણ છે અને કેવી રીતે માલ સપ્લાય કરે છે તે તપાસનો વિષય છે.
સત્યડે ટૂંક સમયમાં આવા કાળા બજારીયા તત્વોને પુરાવા સાથે ઝડપી પર્દાફાશ કરશે જેમાં સંડોવાયેલા તત્વોને ઉઘાડા પાડશે.