અમદાવાદમાં સીટીએમ પાસે હરિદર્શન ફ્લેટમાં રહેતા ૧૧ વર્ષના બાળકનું હાઈવોલ્ટેજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. બાળકને કરંટ લાગતા વધુ સારવાર માટે એલ.જી. હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. એલ.જી. હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. પરિવારે બાળકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ સોમવારે સવારે સીટીએમ વિસ્તારમાં આવેલા હરિદર્શન ફ્લેટમાં રહેતા ૧૧ વર્ષીય બાળકનું હાઈવોલ્ટેજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. કરંટ લાગતા બાળકને તાત્કાલીક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબોએ તપાસ કરી બાળકને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે હાઈવોલ્ટેજ વિજળી વાયરો ખુલ્લા રહેતા હોવાની વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નહોંતું.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્રની બેદરકારીના કારણે બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. બીજી તરફ બાળકના પરિવારે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. વાયુવેગે સમાચાર પ્રસરતા એલ.જી. હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરાતા મણિનગર પોલીસ સ્ટેશનનો કાફળો હોસ્પિટલ આવી પહોંચ્યો હતો