શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 41 કોવિડ દર્દીઓને PPE કીટ પહેર્યા વગર જાનની બાજી લગાવી બચાવનાર નવરંગપુરા પોલીસ સ્ટેશનના બે જવાનો તાવ અને ખાંસીમાં સપડાયા હતાં. (Shrey Hospital Fire) ના કોવિડ દર્દીઓને SVP હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા બચાવ કામગીરી કરનાર ટીમનાં બે સભ્યોમાં લક્ષણો જોવા મળતા નવરંગપુરા પોલીસ સ્ટેશનનાં 8 પોલીસ અધિકારી અને કર્મચારીઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ક્વોરન્ટાઈન કરાયેલા તમામનાં કોવિડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસે જાનની બાજી લગાવી કરેલી આ બચાવ કામગીરીના ઠેર-ઠેર વખાણ પણ થઈ રહ્યાં છે.
નવરંગપુરાની શ્રેય હોસ્પિટલનાં ચોથા મળે આવેલા ICUમાં શોટસર્કિટથી લાગેલી ભયાવહ આગે 8 કોવિડ દર્દીનો ભોગ લઈ લીધો હતો. જો કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીજા 41 કોવિડ દર્દીઓનાં જીવને જોખમ હતું. પોલીસ કંટ્રોલ રૂમ તરફથી ગુરુવારે પરોઢે 3.12 વાગ્યે મળેલા મેસેજને પગલે નવરંગપુરા પોલીસની બે ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ભયાનકતા અને દર્દીઓનું રૂદન જોઈ પોલીસ અધિકારી અને કર્મચારી હચમચી ગયા હતાં.