ગાંધીનગર– ગુજરાતના ત્રણ મેગાસિટી અમદાવાદ, વડોદરા અને સુરતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસો વધી જતાં આ ત્રણ શહેરોને વધુ સાવચેતી રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યાં છે. તેમણે કહ્યું છે કે આ વિસ્તારોમાં પોલીસ અને આરોગ્યની ટુકડીઓ સતર્ક રહે અને સર્વેલન્સ વધારે મજબૂત બનાવે. અમદાવાદમાં તો 29 લાખની વસતી કિલ્લામાં કેદ થઇ ચૂકી છે, આ એવા વિસ્તારો છે કે જ્યાં ભૂતકાળમાં કોમી તોફાનો દરમ્યાન કરફ્યુનો કડક અમલ થતો હતો.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ પછી અમદાવાદના કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરવામાં આવ્યો છે. શહેરના જમાલપુર, રાયખડ, ખાનપુર, શાહપુર, દરિયાપુર, કાલુપુર, સારંગપુર, રાયપુર, આસ્ટોડિયા, દાણીલીમડા સહિતના તમામ વિસ્તારો સંપૂર્ણપણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ એવા વિસ્તારો છે કે જ્યાં વારંવાર કોમી તોફાનો થતાં હતા અને મહિનાઓ સુધી કરફ્યુનો સામનો કરવો પડતો હતો. આજે આ વિસ્તારમાં લોકોને કોરોનાના સંક્રમણના કારણે કરફ્યુ જેવો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને કોટ વિસ્તારની અંદરના ભાગમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર રેપીડ એક્શન ફોર્સ અને સીઆરપીએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ચેકપોસ્ત પર લોકોના આરોગ્યનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં અમદાવાદની 29 લાખની વસતી રહે છે. આ વસતી કોર્ડન થઇ ચૂકી છે. અમદાવાદનો કોટ વિસ્તાર સામાન્ય રીતે 12 દરવાજાનો છે. આ તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. પૂર્વના જમાલપુર દરવાજાથી રાયખડ દરવાજા, ખાનપુર દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર દરવાજા, પાંચકુવા દરવાજા, સારંગપુર દરવાજા, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજાની અંદરનો કોટ વિસ્તાર કોર્ડન કરેલો છે.
અમદાવાદની વસતીનો અડધો ભાગ અત્યારે કિલ્લેબંધીમાં ફેરવાયેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોટ વિસ્તારમાં છ કલસ્ટર ઝોન બાવીને 14000 જેટલી વસતીને ક્વોરેન્ટાઇન કરી છે. અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના મ્યુનિસિપલ કમિશન અને પોલીસ કમિશનરના સીધા સંપર્કમાં છે. તેમને કોટ વિસ્તારમાં સર્વેલન્સ વધારવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદમાં જરૂર પડશે તો નવી હોસ્પિટલો માટે નવી જગ્યાઓ ફાળવવામાં આવી શકે છે.