અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ સેન્ટર ફોર ગવર્નન્સ સિસ્ટમ્સ અને ગુજરાત યુનિવર્સિટીની બી.કે. સ્કૂલ ઑફ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે ગત સપ્તાહમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ભારતીય નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં વહિવટઃ સુધારણા અને ઉપાયો વિશે દેશ-વિદેશના નિષ્ણાતોએ ચર્ચાવિચારણા કરી હતી. પરિષદમાં 150 સંશોધકોએ પોતપોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. આયોજન સમિતિ પરિષદમાં કરવામાં આવેલી ભલામણોના આધારે અહેવાલ બનાવીને સરકારને સુપરત કરશે.
પરિષદનો ઉદઘાટન સમારોહ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) હિમાંશુ પંડ્યાએ નાણાકીય ક્ષેત્રમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે વિગતો રજૂ કરીને તેનાથી સામાન્ય જનતાને કેવી રીતે ફાયદા થયા તેની ભૂમિકા માંડી હતી. જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પ્રો.(ડૉ) એસ.ડી. પંચાલે જણાવ્યું હતું કે ઈ-કોમર્સથી ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટ્યું છે. આમછતાં ડિજીટલ સાક્ષરતા, ડિજીટલ માળખાકીય સુવિધાઓનું સર્જન સહિતના અનેક પડકારોનો સામનો આપણે કરી રહ્યા છીએ. જો કે નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીનો વધારે ઉપયોગ શરૂ થતાં લોકોને અનેક રીતે ઘણી રાહત થઈ છે. અગાઉની જેમ બૅન્કીંગના નાના-નાના કામો માટે બ્રાન્ચ સુધી ધક્કા ખાવા પડતા નથી. ઉમંગ એપ અને ઈ-માર્કેટ સાથે એમ-કોમર્સ જેવી બાબતોથી અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ છે. વાઈસ ચાન્સેલર પ્રો (ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ જીટીયુ આવા વધુ કાર્યક્રમ યોજશે.
આઈઆઈએમ-અમદાવાદ એલ્યુમ્નાઈ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ નયન પરીખે જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ, ઈક્વિટી, ફોરેક્સ, વીમા અને બૅન્કીંગ ક્ષેત્રે ધરખમ ફેરફારો કરવાની આવશ્યકતા છે. મ્યુચ્યુઅલ ફંડમાં પરફોર્મન્સના આધારે વળતર અને કમિશન હોવા જોઈએ. હાલમાં બૅન્કોને સૌથી વધારે પ્રમાણમાં સતાવતી નોન-પરફોર્મીંગ એસેટ્સ (એનપીએ)ની સમસ્યા હલ કરવા રિઝર્વ બૅન્કે સમગ્ર બૅન્કોને તેમાં મૂડીરોકાણ કરવામાં રહેલા જોખમના આધારે ત્રણ વિવિધ કેટેગરીમાં વિભાજીત કરી દેવી જોઈએ. જોખમ-રહિત બૅન્કોને એ ગ્રેડ, હળવું જોખમ ધરાવતી બૅન્કોને બી ગ્રેડ અને વધુ જોખમવાળી બૅન્કોને સી ગ્રેડમાં વહેંચી દેવી જોઈએ. દરેક ગ્રેડ મુજબની બૅન્કમાં દર અઠવાડિયે નાણાં ઉપાડની અલગ અલગ મર્યાદા રાખવી જોઈએ.
નેપાળના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના સભ્ય સચિવ પ્રો. (ડૉ) દેવરાજ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં નાણાકીય ક્ષેત્રના સુધારા વર્ષ 2011થી શરૂ થયા છે અને તે ભારતીય અર્થતંત્રના હિતમાં છે. ભારતના ઉચ્ચ વિકાસ દરમાં તેનું પ્રદાન મહત્ત્વનું છે. ગ્રાહકોના સૌથી મોટા માર્કેટ તરીકે વર્ષ 2025સુધીમાં ભારત વિશ્વમાં પાંચમા સ્થાને હશે. પરિષદમાં ડૉ. પ્રતિક કંચન, પ્રો. ભરત દલાલ, ડૉ. મમતા બ્રહ્મભટ્ટ, ડૉ. રિતેશ પટેલ અને ડૉ વિરલ ભટ્ટે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યો હતા.