અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં સુએઝ ફાર્મમાં ખુલ્લી પ્લોટમાં ઘરેલું ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલામાં ગેસ ભરી વેચવાના કૌભાંડનો મોટો ખુલાસો થતા આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે અને કેટલાક સવાલો ઉભા કર્યા છે.
દાણીલીમડા પોલીસ હદ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા કૌભાંડ અંગે પોલીસ શુ અંધારામાં હતી ? અને છેલ્લા ચાર મહિનાથી આ કૌભાંડ ચાલતું હોવાછતાં કોઈને જાણજ ન થઈ અને આખરે આ ગેરકાયદે ધંધા મામલે ડીસીપીની સ્કોવડને બાતમી મળતા દાણીલીમડા પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા અને મહત્વની વાત એ હતી કે જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે આ શખ્સો ગેસ ટ્રાંસફરનું કામ કરતા હોવાનું જણાયું હતું,મતલબ તેઓ બિન્દાસ હતા.
આ જગ્યા ઉપરથી 332 ગેસના બોટલા સહિત રૂ.8 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે, જે ચોંકાવનારી બાબત છે,જેમાં વજન કાંટો અને રિફિલિંગ મશીન પણ દાણીલીમડા પોલીસે જપ્ત કર્યું છે.
દાણીલીમડા પોલીસે પુનમભાઇ ભાણાભાઇ પરમાર, હરીશભાઇ નાગજીભાઇ પરમાર, ગણપતભાઇ માવજીભાઇ પરમાર, ભરતભાઇ ગણપતભાઇ સોલંકી તથા કલાજી ધુડાભાઇ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી હતી.
જેઓની પુછતાછમાં છેલ્લા ચારેક મહિનાથી આ પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
મતલબ કે આટલા મહિનાઓ થી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી છતાં પોલીસ અજાણ હતી.
સામાન્ય રીતે કોમર્શિયલ ગેસની બોટલની બજાર કિંમત 1700 રૂપિયા હોય છે અને આરોપીઓ 1000 રૂપિયામાં કોમર્શિયલ ગેસની બોટલ વેચતા હોવાનું સામે આવ્યુ છે જે વ્યવસ્થિત કૌભાંડ હતું અને ખરીદનાર એક આખો ગ્રાહક વર્ગ પણ ઉભો થઇ ગયો હતો અને બિન્દાસ ચાલતા આ ધંધા અંગે ડીસીપીની સ્કોવડે જ્યારે આ એરિયામાં રેડ કરતા આ મુદ્દો સબંધિત વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.