જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 44 જવાનોએ શહીદી વહોરી છે ત્યારે દેશભરમાં આતંકવાદી હુમલાને લઈને જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ આ હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે લોકોમાં ભારોભાર લાગણી જોવા મળી રહી છે જેને લઇને ગુજરાત અને અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા હતા.
અમદાવાદના મણિનગર ઘોડાસર વિસ્તારમાં આવકાર હોલ સામે આવેલા ગુરુનાનક ચંદ્રકેતુ પંડયા અંગ્રેજી સ્કુલ (GNC) ના વિદ્યાર્થીઓએ ગુલાબની પાંદડીઓથી શ્રધ્ધાંજલિનુ ફોર્મેશન બનાવીને કેન્ડલથી પ્રગટાવી વિશેષ ભાવાંજલિ આપી. સામાજિક કાર્યકર હર્ષદ પટેલે કહ્યું છે કે ‘આ પ્રકારે કાયરતા પૂર્ણ હુમલો નિંદનીય છે. આ તત્વોને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. શાસક પક્ષ કે વિપક્ષની વાતો એકબાજુ મૂકીને આતંકવાદીઓ સામે એક્શન લેવાય તેવી દેશભરના નાગરિકોની માંગણી છે.’
શુક્રવારે સવારે શાળા પરિવાર સાથે આચાર્ય, શિક્ષકગણ તેમજ સામાજિક કાર્યકર હર્ષદભાઇ પટેલ એ વિદ્યાર્થીઓને પુલવામાના હુમલાની વિગતો આપતા તમામ વિદ્યાર્થીઓએ એકી અવાજે શહીદો અમર રહોના નારા લગાવીને પરિવારોને સાંત્વના આપી અને દેશ તેમની પડખે ઉભો છે તે વાતની પ્રતીતિ કરાવી છે.