કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે અમદાવાદના એસપી રિંગ રોડ પર સ્થિત ભાડજ સર્કલ ખાતે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 73.33 કરોડના ખર્ચે બનેલ આ ઓવરબ્રિજ ચાલુ થતાં દરરોજ હજારો વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ છ માર્ગીય ઓવરબ્રિજની પહોળાઈ 27 મીટર છે.
આ બ્રિજના નિર્માણથી ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો વાહનવ્યવહાર ઝડપી બનશે. ઓવરબ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા અને મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ સહિત અનેક ધારાસભ્યો અને મહાનગર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.