ઓપરેશન સિંદૂર અને નાર્કોટિક્સ સામેની લડતમાં ભારતની મોટી સફળતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને આજે તેઓ કચ્છ તથા મોરબી જિલ્લાના કાર્યક્રમોમાં જોડાયા. ભૂજ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના 61મા સ્થાપના દિવસે હીરક જયંતિ સમારોહમાં તેઓ મુખ્ય અતિથિના રૂપે ઉપસ્થિત રહ્યા. દેશની સરહદોની સુરક્ષામાં તૈનાત સીમાપ્રહરીઓને શુભેચ્છા પાઠવતા તેમણે બીએસએફની ભૂમિકા ભારત માટે અત્યંત મહત્વની હોવાનું જણાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યારે સુધી બીએસએફ જવાન સરહદે છે, ત્યારે દેશની સીમા કોઈ નહી લાંઘી શકે.
જવાનોની ફરજ, વિરતા અને વ્યાપક જવાબદારીઓ
સમારોહ દરમિયાન અમિત શાહે જણાવ્યું કે બીએસએફ આજે થલ, નભ અને જલ—ત્રણે ક્ષેત્રોમાં સમર્પિત રીતે દેશની રક્ષા કરે છે. -46 ડિગ્રીની કડકડતી ઠંડી હોય કે રણની પ્રખર ગરમી, જવાનો અડીખમ રહી પોતાની ફરજ નિભાવે છે. તેમના કારણે દેશવાસીઓ વર્ષભર સુરક્ષિત અનુભવ કરે છે. યુએનના વિવિધ શાંતિ મિશન, આપાત પરિસ્થિતિઓ તેમજ આતંકવાદ-નક્સલવાદ સામેની કામગીરીમાં પણ બીએસએફે પોતાના શૌર્યનો અભૂતપૂર્વ દાખલો આપ્યો છે.
બીએસએફના બલિદાન અને આગામી યોજનાઓ
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે બીએસએફના 2013 જવાનોએ દેશની સુરક્ષા માટે જીવનનો સર્વોચ્ચ બલિદાન આપ્યો છે. તેમણે આશ્વાસન આપ્યું કે આવનારા વર્ષમાં જવાનો અને તેમના પરિવારો માટે ગૃહ વિભાગ અનેક સુવિધાઓ સાથે નવી યોજનાઓ અમલમાં મૂકાશે. સાથે જ બીએસએફ દળને તમામ આધુનિક સાધનો અને સુવિધાઓ સાથે વધુ શક્તિશાળી બનાવવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો. આ સુધારાઓ દળની આક્રમક જવાબદારી ક્ષમતા વધુ સક્ષમ બનાવશે.
ઓપરેશન સિંદૂર અને આંતરિક સુરક્ષાની કામગીરી
અમિત શાહે પહેલગામની ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પાકિસ્તાન પ્રોત્સાહિત આતંકીઓએ પ્રવાસીઓ પર કરેલા હુમલા બાદ ભારતે કડક પગલા લીધા હતા. ઓપરેશન સિંદૂર હેઠળ અનેક આતંકી મથકોનો નાશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની સેનાએ પ્રતિભાવરૂપે તણાવ વધાર્યો ત્યારે બીએસએફ જવાનોએ પણ મક્કમ પ્રતિબદ્ધતા સાથે જવાબ આપ્યો અને પાકિસ્તાનને સંધિ માટે આગળ આવવું પડ્યું. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની સુરક્ષા અને સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ જાળવવાનો હતો.
નાર્કોટિક્સ નિયંત્રણમાં મોટી સફળતા
ગૃહમંત્રીએ માહિતી આપી કે સુરક્ષાદળોએ અંદાજે 18,000 કિલોગ્રામ નાર્કોટિક્સ અને 12,95,000 કરોડ રૂપિયાથી વધુના નશીલા પદાર્થોના પ્રવેશને અટકાવ્યો છે. આ સફળતા માત્ર સુરક્ષાદળોની સતર્કતા જ નહીં, પરંતુ દેશને સલામત રાખવાની તેમની અડગ પ્રતિબદ્ધતાનું પણ પ્રતિક છે. બે દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહે બીએસએફ જવાનોને પ્રેરણાદાયી સંદેશ આપી તેમની હિંમત અને સમર્પણને બિરદાવ્યા.

