રાજ્યો દેવામાં અને મફત યોજનાઓનો રાફડો: અદાલતે પૂછ્યું – ‘વિકાસ માટે બજેટના 25% પણ કેમ નથી વપરાતા?’
દેશમાં વધી રહેલી મફત યોજનાઓની લ્હાણી અને રાજ્યોની કથળતી આર્થિક સ્થિતિ પર નામદાર અદાલતે લાલ આંખ કરી છે. મુખ્ય ન્યાયાધીશે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, “રાજ્યો ખોટમાં ચાલી રહ્યા છે, છતાં મફત યોજનાઓ આપી રહ્યા છે. તમે એક વર્ષમાં જે મહેસૂલ એકત્ર કરો છો, તેના ઓછામાં ઓછા 25 ટકા હિસ્સો રાજ્યના વિકાસ માટે કેમ વાપરવામાં નથી આવતો?” અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રશ્ન કોઈ એક ચોક્કસ રાજ્ય માટે નથી, પરંતુ દેશના તમામ રાજ્યોને લાગુ પડે છે.
નિયોજિત ખર્ચ અને પારદર્શિતા પર સવાલ
સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીએ ઉમેર્યું હતું કે, આ તમામ ખર્ચ ‘નિયોજિત ખર્ચ’ (Planned Expenditure) હોવા જોઈએ. તેમણે સરકારોને સવાલ કર્યો કે, “તમે બજેટમાં એવા પ્રસ્તાવો કેમ રજૂ નથી કરતા જે સ્પષ્ટ કરે કે આટલો ખર્ચ બેરોજગારી સામે ઝૂઝતા લોકો માટે છે? યોજનાઓ પાછળ થતા ખર્ચનું સ્પષ્ટીકરણ આપવું અનિવાર્ય છે.”
વિકાસ વિરુદ્ધ રેવડી સંસ્કૃતિ
અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી કે જ્યારે રાજ્યોની તિજોરી ખાલી હોય અને તેઓ દેવાના ડુંગર નીચે દબાયેલા હોય, ત્યારે વિકાસના કામોને બાજુ પર મૂકીને માત્ર વોટબેંક માટે યોજનાઓ જાહેર કરવી એ લાંબા ગાળે અર્થતંત્ર માટે જોખમી છે. અદાલતે આગ્રહ રાખ્યો હતો કે દરેક રાજ્યએ પોતાના કુલ મહેસૂલનો એક ચોક્કસ ભાગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના વિકાસના કામોમાં રોકવો જોઈએ.
ન્યાયાલયની આ ટિપ્પણીથી હવે રાજકીય વર્તુળોમાં ‘રેવડી સંસ્કૃતિ’ અને આર્થિક શિસ્તને લઈને ફરી એકવાર નવી ચર્ચા છેડાઈ છે.

