માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં નિવૃત્તિ સમારંભ
ગાંધીનગર ખાતે માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અધિક માહિતી નિયામક અરવિંદ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. ૩૪ વર્ષ સુધી માહિતી વિભાગમાં નિષ્ઠાપૂર્વક સેવા આપનાર શ્રી પટેલના કાર્યકાળને સિદ્ધિ અને સમર્પણનો પર્યાય ગણાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે માહિતી કમિશનર કે.એલ. બચાણી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમને ભાવભીની વિદાય આપી હતી.
સરકાર અને જનતા વચ્ચેના સેતુ તરીકેની સફળ ભૂમિકા
માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેએ શ્રી અરવિંદ પટેલના કર્મઠ અને ધૈર્યવાન વ્યક્તિત્વને બિરદાવતા જણાવ્યું હતું કે, માહિતી વિભાગ સરકારની કામગીરીને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું અત્યંત સંવેદનશીલ કાર્ય કરે છે. મર્યાદિત સંસાધનો અને મીડિયાના સતત દબાણ વચ્ચે પણ શ્રી પટેલે અત્યંત સૂઝબૂઝથી સરકારનું સંકલન જાળવી રાખ્યું હતું. તેમની કાર્યપદ્ધતિ માહિતી ખાતાના ગૌરવમાં વધારો કરનારી રહી છે.
મીડિયા મેનેજમેન્ટ અને ક્રાઈસિસ મેનેજમેન્ટમાં નિષ્ણાત
માહિતી કમિશનર કે.એલ. બચાણીએ શ્રી પટેલની સમયસૂચકતા અને ત્વરિત નિર્ણયશક્તિની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીશ્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીએ પણ યાદ કર્યું હતું કે, વડાપ્રધાન કે મુખ્યમંત્રીના મોટા કાર્યક્રમો દરમિયાન મીડિયા પ્લાનિંગના જટિલ પ્રશ્નો ઉભા થતા ત્યારે શ્રી પટેલનું શાંત રહીને સચોટ સમાધાન લાવવાનું કૌશલ્ય ‘ક્રાઈસિસ મેનેજમેન્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું હતું.
સાથી અધિકારીઓ અને પરિવારની હાજરીમાં ભાવુક વિદાય
વિદાય સમારંભમાં સંયુક્ત માહિતી નિયામક સંજય કચોટ સહિત વિવિધ ઝોનના નિયામકોએ શ્રી પટેલ સાથેના પોતાના અનુભવો વાગોળ્યા હતા. નાયબ માહિતી નિયામક દિલીપ ગજ્જરે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં શ્રી પટેલના પરિવારજનો અને વિવિધ જિલ્લાના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમના નિવૃત્ત જીવન માટે સુખ અને શાંતિની પ્રાર્થના કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

