અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ભગવો ધ્વજ, સૌથી મોટા દાનદાતાઓના નામ થયા જાહેર
અયોધ્યામાં આજે ખાસ શુભ મુહૂર્તમાં રામ મંદિરના શિખર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવો ધ્વજ ફરકાવ્યો. શ્રી રામ અને માતા સીતાના વિવાહ પંચમીને અનુલક્ષીને યોજાયેલ આ કાર્યક્રમને જોવા હજારો લોકો ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી રોડ શો દ્વારા મંદિર પહોંચ્યા બાદ ધ્વજારોહણની વિધિ સંપન્ન કરી હતી. 22 ફૂટ લાંબા અને 11 ફૂટ પહોળા આ ધ્વજને મંદિર નિર્માણ પૂર્ણતાના પ્રતિકરૂપે પણ માનવામાં આવી રહ્યું છે.
ધ્વજારોહણનું ખાસ મુહૂર્ત અને રામ મંદિર ઉદ્ઘાટનની યાદ
આ ધ્વજ ફરકાવવાનો શુભ સમય બપોરે 11:58 થી 12:30 વચ્ચેનો હતો. આ ખાસ અભિજીત મુહૂર્તમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. યાદ રહે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારથી દેશ-વિદેશના ભક્તો મંદિર નિર્માણ માટે સતત દાન આપી રહ્યા છે.
રામ મંદિરમાં સૌથી વધુ દાન કોણે આપ્યું?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આંકડા મુજબ આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ મંદિર માટે 11.3 કરોડનું દાન આપ્યું હતું, જે એકલવ્યક્તિ દ્વારા આપવામાં આવેલું સૌથી મોટું દાન છે. તેમના વિદેશી અનુયાયીઓએ વધારાના 8 કરોડનું યોગદાન આપ્યું હતું, જેથી કુલ રકમ 18.6 કરોડ થઈ હતી. ટ્રસ્ટ અનુસાર અત્યાર સુધીમાં 5,500 કરોડથી વધુ દાન મળી ચૂક્યું છે. માત્ર જાન્યુઆરી 2024ના બે દિવસમાં જ રામ ભક્તોએ 3.17 કરોડનું દાન કર્યું હતું.
ગુજરાતના વેપારીઓનું વિશાળ યોગદાન
સુરતના જાણીતા હીરા વેપારી દિલીપ કુમાર વી. લક્ષી અને તેમના પરિવારે રામ મંદિર માટે 101 કિલો સોનું દાન આપ્યું હતું. બજાર કિંમત પ્રમાણે આ સોનાની કિંમત લગભગ 68 કરોડ થાય છે. આ સોનાનો ઉપયોગ મંદિરના ગર્ભગૃહ, દ્વાર અને સજાવટમાં થયો છે. ઉપરાંત મુકેશ અંબાણીએ 2.51 કરોડનું દાન આપ્યું હતું. અનેક અન્ય વેપારીઓ જેવા કે ગોવિંદભાઈ ઢોકળિયા, મુકેશ પટેલ અને મહાવીર મંદિર ટ્રસ્ટે પણ કરોડોમાં દાન આપી મંદિર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
દેશભરના ભક્તોનું અદભૂત સમર્થન
ટ્રસ્ટ અનુસાર દેશભરમાં ફંડિંગ કેમ્પેઈન શરૂ થતાં જ હજારો ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું હતું. કેમ્પેઈનના પ્રથમ જ દિવસે 3 કરોડથી વધુ જમા થયા હતા. રામ મંદિર માટે લોકોની આ આસ્થા અને ઉમળકાથી અયોધ્યા આજે વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.

