ભરૂચના દહેજ ફેઝ 2માં વડદલા ગામે આવેલી કેન્સરની બીમારીઓના ઉપચારની દવા બનાવતી શિવાલીક રસાયણના ઓન્કોલોજી વેરહાઉસમાંથી 710.50 ગ્રામ કેન્સરની ₹39 લાખની કિંમતની બે દવાઓની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જતા ચકચાર મચી છે.
વડદલા ગામે દહેજ 2 માં શિવાલીક રસાયણ કંપનીમાં કેન્સરના ઉપચારમાં વપરાતી જીવનરક્ષક દવાઓનું પ્રોડક્શન થાય છે.
બ્રેસ્ટ કેન્સર, લુકેમિયા, કેમોથેરાપી સહિતની કેન્સરની બીમારીમાં વપરાતી કેપેસીટાબીન, બુસલફન, લેનાલીડોમાઇડ, બેન્ડામુસ્ટીન HCL અને બોરટીઝોમીબ દવાઓ પૈકી બેન્ડામુસ્ટીન HCL 4 ડબ્બામાંથી 567 ગ્રામ ગાયબ હતો. જ્યારે અલગ અલગ 4 બેચનો બોરટીઝોમીબ 4 ડબ્બામાંથી 143.50 ગ્રામ ચોરી થયો હતો. કેન્સરની બન્ને દવાનો 710.50 ગ્રામ જથ્થો કિંમત રૂપિયા 39 લાખની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવતા દહેજ પોલીસ મથકે દવાઓની ચોરી અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.