ભરૂચમાં ખનન પ્રવૃત્તિએ જોર પકડ્યું છે. ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ત્રણ પૈકી એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ ભરૂચના રતનપોર પાસે આવેલી KCL પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં વિભાગના ત્રણ કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો, ખાણ ખનીજ વિભાગના કર્મચારી કેયુર રાજપરા સહિત અન્ય સ્ટાફ સાથે ઓરપટાર, જૂની તરસાલી ખાતે ચાલતી લીઝની ચેકીંગ માટે ગયા હતા. ચેકીંગ કરી પરત ફરી રહેલા સ્ટાફે ટ્રકને અટકાવી હતી અને બિલ્ટી તથા રોયલ્ટી પાસ માંગ્યો હતો. સ્ટાફે ટ્રક અટકાવતા અને ચેકીંગ કરતા રોયલ્ટી પાસ નહીં બતાવી શકેલા શખ્સોએ સીધો હુમલો કર્યો હતો. આશરે 20થી 25 જેટલાના ટોળાંએ સ્ટાફ પર હુમલો કર્યો હતો. ખૂબ માર માર્યો હતો. લાકડીના ફટકા અને ઢીક-મુક્કીનો માર મારવામાં આવ્યો હતો.
રાજ પારડી પોલીસે ફરીયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. એવું મનાય છે કે આ હુમલા પાછળ ખાણ માફીયાઓનો હાથ છે. ભરૂચમાં પાછલા કેટલાક સમયથી ખાણ માફીયાઓએ માઝા મૂકી છે અને આવી રીતે કર્મચારીઓ પર જીવલેણ હુમલાના બનાવો બનતા રહે છે.