ઝઘડીયા જીઆઈડીસીમાં પાણીની ટાંકી અચાનક કડડડભૂસ થતાં ત્રણ કામદારોના મોત નિપજ્યા હતા જ્યારે બેને ઈજા પહોંચી હત. આ ઘટના જીઆઈડીસીમાં આવેલા યુપીએલ-5માં બની હતી. લેબર કોલોનીમાં આવેલી પાણીની ટાંકી નજીક સીડી ધોવા ગયેલા કામદારો પર મોત ત્રાટક્યું હતું.
વિગતો મુજબ ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલા યુપીએલ-5માં એચરેક એન્જિનિયરીંગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારો રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા. પતરાના શેડની લેબર કોલોનીમાં રહેતા પાંચ કામદારો નામે ધરમવીર પાસવાન, જયપાલ યાદવ, સુરન્દ્ર કુમાર, બાબુ મંડલ અ હરાધન મેટે ગત રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં નોકરી પરથી પરત થઈ લેબર કોલોનીમાં આવ્યા હતા. લેબર કોલોની ખાતે આવી નહાવા-ધોવા માટે બનાવેલા ઈંટોનું ચણતર કરેલી પાણીની ટાંકી પાસે હાથ-પગ ધોવા અને કંપનીના કામ માટે લઈ ગયેલી સીડીને પણ ધોઈ રહ્યા હતા.
અચાનક પાણીની ટાંકી ધરાશયી થઈ હતી અને પાણીની ટાંકીના કાટમાળ નીચે પાંચ કામદારો દબાઈ ગયા હતા. જે પાંચ કામદારો પાણીની ટાંકીના કાટમાળ નીચે દબાયા હતા તેમાં ધરમવીર પાસવાન, જયપાલ યાદવ અને હરાધન મેટેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્રણેયનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે અન્ય બે કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કામદારોને અંકલેશ્વર ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને અન્ય અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયા હતા.