ભંડારીયા ગામમાં પ્રાકૃતિક ખેતીનું ઉદાહરણ બની સરગવાની ખેતી
આજના સમયમાં ખેતીમાં ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે ઘણા ખેડૂતો રાસાયણિક પદ્ધતિઓ છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. આ પદ્ધતિમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું મળતા ખેડૂતોને વધુ નફો મળે છે. સાથે સાથે પાકનું મૂલ્યવર્ધન કરીને આવક બમણી કરવાની રીતો પણ ખેડૂતોમાં લોકપ્રિય બની રહી છે. આ પરિવર્તનનો જીવંત દાખલો ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ભંડારીયા ગામમાં જોવા મળે છે, જ્યાં ખેડૂત લવજીભાઈ અકબરીએ પ્રાકૃતિક ખેતી પરથી એક નવી ઓળખ બનાવી છે.
સરગવાના તમામ ભાગોનું મૂલ્યવર્ધન કરી વર્ષનું એક લાખથી વધુ ઉત્પાદન
લવજીભાઈ અગાઉ મગફળી, કપાસ અને તલ જેવા પરંપરાગત પાકો કરતા હતા, પરંતુ ઉત્પાદન અને ખર્ચ વચ્ચે સંતુલન ન મળતા તેઓ નવી રીતો શોધવા લાગ્યા. પાંચ વર્ષ પહેલા તેમણે સરગવાનું વાવેતર શરૂ કર્યું અને ધીમે ધીમે તેનું મૂલ્યવર્ધન કરીને સારી આવક મેળવવાની રીત શીખી લીધી. બજારમાં વધુ સરગવો આવતાં ભાવ ઘટે ત્યારે તેઓ લીલા અને સૂકા પર્ણનું અલગથી વેચાણ કરતા. બાદમાં પાંદડાનો પાવડર બનાવી તેનું વેચાણ સમગ્ર ગુજરાતમાં શરૂ કર્યું. સુકાઈ ગયેલી સિંગનો પાવડર પણ તેઓ તૈયાર કરે છે, જે બજારમાં સારી કિંમતે વેચાય છે. આ રીતે તેઓ એક વીઘાની સરગવાની ખેતીમાંથી વર્ષનું એક લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
સરગવાના ખેડૂત તરીકે લવજીભાઈની સફર બની પ્રેરણાનું સ્ત્રોત
લવજીભાઈ 1982 થી ખેતી કરે છે અને હાલમાં સરગવાથી ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે. 11મા મહિનાથી સરગવાની સિંગ આવવા લાગે છે અને તે સમયે ભાવ સારા મળતા ખેડૂતને સારો નફો થાય છે. જયારે બીજા મહિનાથી બજારમાં ઘટાડો આવે છે ત્યારે લીલા પાંદડાનું વેચાણ કરી નફો જાળવી રાખે છે. લીલા પાંદડાનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે પાંદડાના પાવડરનો ભાવ 450 રૂપિયા પ્રતિ કિલો સુધી જાય છે. અંતે સુકાઈ ગયેલી સિંગનો પાવડર પણ સારા ભાવે વેચાઈ તેઓને વધારાની આવક આપે છે. સરગવાની પ્રાકૃતિક ખેતીમાં આવેલી આ સફળતા ઘણા ખેડૂતો માટે માર્ગદર્શક બની છે.

