કેનેડામાં નોકરી કરતા ભારતીયો માટે લોટરી: હવે વર્ક પરમિટ વગર પણ ૧ વર્ષ સુધી કરી શકાશે કામ
કેનેડામાં સ્થાયી થયેલા લાખો વિદેશી કામદારો, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓનો સમાવેશ થાય છે, તેમના માટે કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે એક મોટી રાહત જાહેર કરી છે. સામાન્ય રીતે કેનેડામાં કામ કરવા માટે વર્ક પરમિટ અનિવાર્ય હોય છે, પરંતુ હવે નવી પરમિટ આવવામાં વિલંબ થાય તો પણ કામદારોની નોકરી જોખમમાં નહીં આવે. ૧ મે, ૨૦૨૬ ના રોજ જાહેર થયેલા નવા નિયમો મુજબ, જે કામદારોએ તેમની વર્ક પરમિટ એક્સટેન્શન માટે અરજી કરી છે, તેઓ હવે એક વર્ષ (૩૬૫ દિવસ) સુધી વર્ક પરમિટ વગર પણ કાયદેસર રીતે નોકરી ચાલુ રાખી શકશે.
શું છે આ WP-EXT લેટર?
જ્યારે કોઈ વિદેશી કામદાર તેની વર્તમાન વર્ક પરમિટ પૂરી થવાની હોય ત્યારે તેને લંબાવવા માટે અરજી કરે છે, ત્યારે કેનેડાનું ઇમિગ્રેશન વિભાગ (IRCC) તેમને એક પત્ર જારી કરે છે. આ પત્રને ‘વર્ક ઓથોરાઇઝેશન સપોર્ટ લેટર’ અથવા ટૂંકમાં WP-EXT તરીકે ઓળખવામાં આવે છે. આ પત્ર એ વાતનો પુરાવો છે કે કામદારની અરજી પ્રક્રિયા હેઠળ છે અને તેઓ ‘જાળવણી સ્થિતિ’ (Maintained Status) માં છે
નિયમમાં શું ફેરફાર થયો?
અગાઉ આ WP-EXT પત્રની માન્યતા માત્ર ૧૮૦ દિવસ એટલે કે આશરે ૬ મહિનાની હતી. જો આ ૬ મહિનામાં નવી વર્ક પરમિટ ન આવે, તો કામદારે નોકરી છોડવી પડતી અથવા કાયદેસરની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જોકે, CIC ન્યૂઝના અહેવાલ મુજબ, હવે આ સમયમર્યાદા વધારીને ૩૬૫ દિવસ કરી દેવામાં આવી છે. એટલે કે, જો તમારી નવી પરમિટ આવવામાં એક વર્ષ જેટલો સમય પણ લાગે, તો પણ તમે જુની પરમિટની શરતો મુજબ નોકરી ચાલુ રાખી શકો છો.
કોને મળશે આ સુવિધાનો લાભ?
આ નવા નિયમનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવું અનિવાર્ય છે: ૧. અરજીનો સમય: કામદારે તેની વર્તમાન વર્ક પરમિટ સમાપ્ત થાય તે પહેલાં જ એક્સટેન્શન માટે અરજી કરેલી હોવી જોઈએ. ૨. જાળવણી સ્થિતિ (Maintained Status): ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સ (IRPR) ની કલમ ૧૮૬ હેઠળ કામદાર જાળવણી સ્થિતિમાં હોવો જોઈએ. ૩. શરતોનું પાલન: કામદાર તેમની જૂની પરમિટની જે-તે શરતો (જેમ કે એમ્પ્લોયર અથવા લોકેશન) હેઠળ જ કામ કરી શકશે.
કેનેડા સરકારના આ નિર્ણય પાછળનું કારણ
કેનેડામાં હાલમાં ઇમિગ્રેશન અરજીઓનો મોટો ભરાવો (Backlog) જોવા મળી રહ્યો છે. ઘણીવાર નવી વર્ક પરમિટ પ્રોસેસ થવામાં ૬ મહિનાથી વધુ સમય લાગે છે. આ સ્થિતિમાં કુશળ કામદારોએ દેશ છોડવો ન પડે અથવા એમ્પ્લોયર્સને કામદારોની અછત ન સર્જાય તે હેતુથી IRCC એ તેની વેબસાઇટ પર અધિકારીઓ માટેની સૂચનાઓ અપડેટ કરી છે.
WP-EXT લેટર અને વર્ક ઓથોરાઇઝેશન વચ્ચેનો તફાવત
સરકારે સ્પષ્ટ કર્યું છે કે WP-EXT પત્ર પોતે કોઈ નવી કાર્ય સત્તા (Work Authorization) નથી. તે માત્ર એક પુરાવો છે કે તમે કાયદેસર રીતે અરજી કરી છે અને નવી પરમિટ ન મળે ત્યાં સુધી તમને કામ કરવાની છૂટ છે. આ પત્ર એમ્પ્લોયરને બતાવવા માટે પૂરતો છે કે કામદાર કેનેડામાં કાયદેસર રીતે રહીને સેવા આપી શકે છે.
કેનેડા સરકારનો આ નિર્ણય ભારતીય આઈટી પ્રોફેશનલ્સ, હેલ્થકેર વર્કર્સ અને અન્ય કુશળ શ્રમિકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. ૧ મે ના શ્રમિક દિવસ પર આનાથી મોટી ભેટ કામદારો માટે બીજી કોઈ ન હોઈ શકે. આ ફેરફારથી કેનેડામાં રહેતા ભારતીય સમુદાયમાં ખુશીનો માહોલ છે અને હવે તેઓ અનિશ્ચિતતા વગર પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

