ગરબાડા તાલુકામાં કોંગ્રેસને નવો ટેકો, AAP કાર્યકર્તાઓએ ખેસ ધારણ કરી પક્ષમાં જોડાયા
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામમાં આવેલ આશ્રમશાળામાં કોંગ્રેસ સંગઠન સુજન અભિયાન હેઠળ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકાના વિવિધ હોદ્દેદારો, આગેવાનો તેમજ આવનારા તાલુકા અને જિલ્લા પંચાયત ચુંટણીમાં મેદાનમાં ઉતરવા ઈચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત કરવા અને ચુંટણી પૂર્વ કાર્યયોજના ઘડવા પર મુખ્ય ચર્ચા થઈ હતી.
ચંદ્રિકાબેન બારીયા અને અનેક આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ
મિટિંગમાં ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ પટેલ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠોડ તથા દાહોદ કોંગ્રેસ સેવાદળના ઉપપ્રમુખ દિલીપભાઈ માળવી ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના સંગઠન સુજન અભિયાનના હિસ્સા તરીકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પક્ષના કાર્યની સમીક્ષા સાથે જમીનસ્તર સુધી પહોંચવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
AAP કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
આ બેઠકનો મુખ્ય મુદ્દો એ હતો કે ગરબાડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આશરે 12 વિસ્તારોમાંથી કાર્યકર્તાઓએ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા સમક્ષ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. તેમાં પરમાર શૈલેષભાઈ લક્ષ્મણભાઈ, પરમાર પરેશભાઈ ચંદુભાઈ, નરેશભાઈ બિલવાળ, કનુભાઈ તેરસિંગભાઈ સહિતના નામો નોંધાયા. અભલોડ તેમજ અન્ય વિસ્તારોમાં રહેલા મકવાણા મયુરભાઈ, જાદવ કાળુભાઈ, ધવલભાઈ મકવાણા, રાહુલભાઈ ચાવડા અને મનુભાઈ ખરેલી સહિતના કાર્યકર્તાઓ પણ સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતા.
કોંગ્રેસની રાજકીય સક્રિયતા વધારવાનો પ્રયાસ
કાર્યક્રમ દરમિયાન પક્ષ મજબૂત કરવા, ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક વિસ્તૃત કરવા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના બનાવવાની ચર્ચા પણ થઈ. નવી જોડાયેલ ટીમો અને કાર્યકર્તાઓને પક્ષના ધોરણો તથા જવાબદારીઓને અનુરૂપ કાર્ય કરવાની સૂચના આપવામાં આવી. સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓના જોડાણથી કોંગ્રેસને ગરબાડા વિસ્તારમાં વધુ મજબૂત સ્થિતિ મળવાની આશા વ્યક્ત કરાઈ.

