મોંઘવારીનો વધુ એક આકરો ડામ: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹૨૯નો વધારો, જાણો આજથી કેટલો ખર્ચ વધશે
આંતરરાષ્ટ્રીય સ્તરે ભભૂકી રહેલા યુદ્ધ અને ભૌગોલિક તણાવની સીધી અસર હવે ભારતીય ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને આંબી રહેલા ભાવો વચ્ચે હવે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો કોરડો ઝીંકાયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને ઇંધણની કટોકટી વચ્ચે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલુ વપરાશના રાંધણગેસ (LPG) ના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજો આકરો ભાવવધારો છે, જેણે ગરીબ અને મધ્યમ વર્ગના ઘરના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી નાખ્યું છે.
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ તેમજ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ફાટી નીકળેલા સંઘર્ષના કારણે વૈશ્વિક ઉર્જાનો પુરવઠો અને સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અને માઠી અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. ઉદ્યોગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ૭ જૂનથી દેશમાં ઘરેલુ વપરાશના ૧૪.૨ કિલોગ્રામના રાંધણગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૯ રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
આ આકરો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશની જનતા દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવોથી ઓલરેડી ત્રાહિમામ પોકારી રહી છે. મધ્યમ અને નીચલા વર્ગના પરિવારો માટે આ નવો ભાવવધારો પડતા પર પાટુ સમાન સાબિત થશે, કારણ કે આનાથી જીવનજરૂરી ચીજવસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન અને ઘરના માસિક બજેટ પર સીધી નકારાત્મક અસર પડશે.
ત્રણ મહિનામાં આ બીજો મોટો ઝટકો
આવશ્યક બાબત એ છે કે છેલ્લા ત્રણ મહિનાની અંદર સામાન્ય ગ્રાહકો પર ઝીંકવામાં આવેલો આ બીજો મોટો ભાવવધારો છે. આ પૂર્વે ગત ૭ માર્ચે વૈશ્વિક બજારની અસ્થિરતાને કારણે રાંધણગેસના સિલિન્ડર દીઠ સીધો ૬૦ રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. આમ, માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ ગૃહિણીઓના રસોડાના ગેસ પર અંદાજે ૮૯ રૂપિયાનો બોજ વધી ગયો છે. આજના તાજા વધારા બાદ, દેશની રાજધાની દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત ૯૧૩ રૂપિયાથી વધીને સીધી ૯૪૨ રૂપિયા પર પહોંચી ગઈ છે. અન્ય રાજ્યો અને સ્થાનિક સ્તરે ટેક્સના માળખાના આધારે આ ભાવ હજુ પણ વધુ હોઈ શકે છે.
તેલ કંપનીઓની નુકસાની અને રાહતનું ગણિત
ઉદ્યોગના અંદરના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેસના ભાવમાં કરવામાં આવેલો આ વધારો સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ઘરેલું એલપીજીના વેચાણ પર થઈ રહેલા આર્થિક નુકસાનની આંશિક ભરપાઈ કરવા માટે કરવામાં આવ્યો છે. આ તાજેતરના ફેરફાર પહેલા, સરકારી ઓઇલ કંપનીઓને બજારમાં વેચાતા દરેક સિંગલ એલપીજી સિલિન્ડર પર અંદાજે ૭૦૩ રૂપિયાનું મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હતું.
માત્ર રાંધણગેસ જ નહીં, ઇંધણના અન્ય સ્ત્રોતો પણ સામાન્ય માણસની પહોંચથી દૂર જઈ રહ્યા છે. મે મહિનાના મધ્ય ભાગથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સંયુક્ત રીતે પ્રતિ લિટર ૭.૫૦ રૂપિયાનો વધારો ઝીંકાઈ ચૂક્યો છે. આ સિવાય વાહનો અને ફેક્ટરીઓમાં વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ના ભાવમાં પણ લગભગ ૬ રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે. આટલા વધારા છતાં તેલ કંપનીઓનો દાવો છે કે તેઓ ગ્રાહકોને રાહત દરે ઇંધણ આપી રહી છે, જેના કારણે હાલમાં તેમને પેટ્રોલ પર આશરે ૧૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૩૩.૬ રૂપિયા પ્રતિ લીટરનું મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.
જો કે, સરકારે હજુ સુધી આંતરરાષ્ટ્રીય બજારના આ ભાવવધારાનો સંપૂર્ણ બોજ ગ્રાહકોના માથે નાખ્યો નથી અને ઘણો ખરો હિસ્સો કંપનીઓ પોતે સહન કરી રહી છે, પરંતુ વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજાર જે રીતે સતત અસ્થિર અને જોખમી બની રહ્યું છે, તેને જોતા આગામી દિવસોમાં સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી.