ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણથી કુલ નવ વ્યક્તિના મોત થયાં છે. આ આંકડો સમગ્ર દેશમાં ત્રીજાક્રમે આવ્યો છે. દેશમાં સૌથી વધુ 26 મોત મહારાષ્ટ્રમાં થયાં છે. બીજાક્રમે 11 મોત સાથે તેલંગાણા આવે છે. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા સૌથી વધુ છે. આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે સંક્રમણના ત્રીજાતબક્કામાં દેશભરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 100ના આંકડાને પાર જઇ રહી છે અને કુલ નવ વ્યક્તિના મોત થયાં છે. રાજ્યના પડોશી મધ્યપ્રદેશમાં કુલ આઠના મોત થયાં છે, જ્યારે પશ્ચિમબંગાળમાં છ, દિલ્હીમાં છ, પંજાબમાં પાંચ, કર્ણાટકામાં ચાર, હિમાચલ, જમ્મુ-કાશ્મિર, ઉત્તરપ્રદેશ અને કેરાલામાં બે-બે તેમજ બિહાર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં એક-એક મોત નોંધાયું છે.
ભારતમાં 21 દિવસના લોકડાઉનનો અસરકારક અમલ હોવાથી સંક્રમણ કન્ટ્રોલમાં જોવા મળ્યું છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસના જે કેસો વધી રહ્યાં છે તે દિલ્હીની એક ઘટનાના કારણે છે. છેલ્લા સપ્તાહમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં સંક્રમણના કારણે 75 ટકા કેસો વધ્યાં છે.
ગુજરાતમાં સૌથી વધુ 40 કેસ અમદાવાદમાં થયાં છે. અમદાવાદની વસતી વધારે હોવાથી તેમજ દિલ્હીના સંક્રમિત વ્યક્તિઓ સામે આવતાં શનિવારે બે કેસ પોઝિટીવ આવ્યા છે. રાજ્યના સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, ભાવનગર અને કચ્છમાં બીજા કેસ છે પરંતુ ત્યાં કેસોની સંખ્યા મોટેભાગે સ્થિર જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં સંક્રમણના કુલ 2902 કેસો નોંધાયા છે..