ઘર્મશાળા : શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ૧-૦થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ હવે નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માના નેતૃત્ત્વમાં વન-ડે સિરીઝમાં શ્રીલંકા સામે ટકરાશે. ભારત અને શ્રીલંકા ચાર મહિના અગાઉ શ્રીલંકાની ધરતી પર ટકરાયા હતા જેમાં ભારતે ૫-૦થી વન-ડે સિરીઝ જીતી હતી જ્યારે પાકિસ્તાન સામે પણ ૫-૦થી વન-ડે શ્રેણીમાં શ્રીલંકાનો પરાજય થયો હતો. આ ઉપરાંત પોતાના ઘરઆંગણે ઝિમ્બાબ્વેએ પણ ૩-૨થી વન-ડે સિરીઝ હરાવી હતી. આમ, સતત ૧૨ વન-ડે મેચથી શ્રીલંકાને જીત મળી નથી ત્યારે શ્રીલંકાની ટીમે ત્રીજી ટેસ્ટ મેચમાં જે રીતે લડત આપી હતી તેના પરથી પ્રેરણા લઈ વન-ડેમાં પોતાનું પ્રદર્શન સુધારવા ઊતરશે. શ્રીલંકાની ટીમ આ વર્ષે ૨૬ વન-ડે રમી છે જે પૈકી માત્ર ચાર વન-ડે જીતી શકી છે જ્યારે ભારતીય ટીમે આ વર્ષે ૨૬ વન-ડે પૈકી ૧૯ વન-ડેમાં જીત મેળવી છે. આ ઉપરાંત અગાઉ મેચ ૧.૩૦ કલાકે શરૂ થનાર હતી પરંતુ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન દ્વારા સમયમાં ફેરફાર કરાતાં હવે ૧૧.૩૦ કલાકે મેચ શરૂ થશે. ભારતે ધર્મશાલામાં અત્યાર સુધી ત્રણ વન-ડે રમી છે જે પૈકી બેમાં જીત મળી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડયો છે. ધર્મશાલામાં યોજાનારી પ્રથમ મેચમાં વરસાદનો ખતરો મંડરાયો છે. સ્થાનિક હવામાન વિભાગે અહીં વરસાદ અને હિમવર્ષાની આશંકા વ્યક્ત કરી છે. શિમલાના હવામાન વિભાગના ડાયરેક્ટર મનમોહનસિંહે કહ્યું કે, પશ્ચિમમાં થનારી ઊથલ-પાથલ ઉત્તર ભારતમાં પ્રભાવ નાખી શકે છે. તેવામાં ૧૦ ડિસેમ્બરથી સતત બે દિવસ સુધી વરસાદ થઈ શકે છે. સાથે સાથે હિમવર્ષાની પણ આશંકા દર્શાવાઈ છે.
કેદાર જાધવ બહાર
મીડલ ઓર્ડર બેટ્સમેન કેદાર જાધવ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. જાધવ રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો હતો અને વન-ડે પહેલાં તેની તપાસ કરાઈ હતી જેમાં તે ફિટનેશ ટેસ્ટમાં ફેલ ગયો હતો. જાધવના સ્થાને વોશિંગ્ટન સુંદરને સામેલ કરાયો છે. આ ઉપરાંત ઓપનર શિખર ધવન પણ ધર્મશાલા વન-ડે અગાઉ તાવમાં પટકાતાં તેનું રમવું શંકાસ્પદ બન્યું છે.
ભારત પાસે વન-ડેમાં પણ નંબર વન બનવાની તક
ભારતીય ટીમ રવિવારથી શ્રીલંકા સામે શરૂ થઈ રહેલી વન-ડે સિરીઝમાં ૩-૦થી વિજય મેળવવાના લક્ષ્ય સાથે ઊતરશે. ક્લીનસ્વીપ દ્વારા ભારતીય ટીમ વન-ડે ક્રિકેટમાં સાઉથ આફ્રિકાને પાછળ છોડી નંબર વન બની શકે છે. ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન છે જ્યારે વન-ડેમાં ૧૨૦ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે અને તે સાઉથ આફ્રિકા કરતાં એક સ્થાન પાછળ છે. આફ્રિકાના પણ ૧૨૦ પોઇન્ટ છે પરંતુ તે દશાંશ પદ્ધતિ મુજબ નંબર વનના સ્થાને છે. ભારતીય ટીમ ધર્મશાલામાં આજે રમાનારી મેચ જીતી જાય તો ૧૨૧ પોઇન્ટ સાથે નંબર વન બની જશે પરંતુ નંબર વનનું સ્થાન જાળવી રાખવા માટે ભારતને મોહાલીમાં ૧૩ ડિસેમ્બર અને વિશાખાપટ્ટનમમાં યોજાનાર મેચમાં જીત મેળવવી પડશે. શ્રીલંકાની ટીમ ૮૩ પોઇન્ટ સાથે આઠમા નંબરે છે. ભારતીય ટીમ જો આ સિરીઝ ૨-૧થી જીતે તો પણ ૧ પોઇન્ટનું નુકસાન થશે અને તેના ૧૧૯ પોઇન્ટ થઈ જશે. બીજી તરફ શ્રીલંકાની ટીમ ૩-૦થી સિરીઝ હારી જાય તો પણ તેના પોઇન્ટમાં ઘટાડો નહીં થાય પરંતુ જો ભારતને ૩-૦થી પરાજય આપે તો ચાર પોઇન્ટના વધારા સાથે ૮૭ પોઇન્ટ થઈ જશે
આઈપીએલમાં કેપ્ટનશિપ કરવી અને ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવી બંને અલગ બાબત છે પરંતુ કેપ્ટનશિપની પ્રક્રિયા અને તેના બેજિક્સ એક જ છે. આઈપીએલ ટીમની તુલનામાં અમારી પાસે અલગ ખેલાડીઓ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાથે રમવાને કારણે મને તેમના મજબૂત પક્ષ અને નબળાઈની ખબર છે.
રોહિત શર્મા, કેપ્ટન ભારત
ભારત પાસે તેમનો શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી નથી પરંતુ અમે આ અંગે વિચારતા નથી. અમે વિકેટનું યોગ્ય આંકલન કરીશું અને શ્રેષ્ઠ પ્રદર્શન આપી શું તો અમે ભારતને પરાજય આપી શકીએ છીએ. એન્જેલો મેથ્યુઝે ટેસ્ટ સિરીઝમાં બોલિંગ નહોતી કરી પરંતુ તે વન-ડે ક્રિકેટમાં બોલિંગ કરવા માટે તૈયાર છે. – થિસારા પરેરા, કેપ્ટન શ્રીલંકા